આજથી ચાતુર્માસનો આરંભ : ભગવાન વિષ્ણુનો શયનકાળ અને સૂર્ય દક્ષિણાયન થતાં માંગલિક કાર્યો પર પ્રતિબંધ

દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે : જાણો.. તેનું ધાર્મિક મહત્વ અને વ્રત કથા

મોરબી : અષાઢ સુદ અગિયારશ એ ‘શયની’ એકાદશી (દેવશયની) કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથી પ્રમાણે દેવશયની એકાદશી 17 જુલાઈએ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીની પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.


શ્રીવિષ્ણુ ચાર માસ શયન કરે છે

હિંદુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ હોય છે. ચાતુર્માસ ચાર મહિનાનો સમયગાળો હોય છે. જેમાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા રહે છે અને આ દરમિયાન શુભ-માંગલિક કાર્યો થતા નથી.

દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા દિવસે એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે.

આ અજવાળી એકાદશી પછી ભગવાન વિષ્ણુ દેવલોકના પોતાના શયનખંડમાં શેષનાગની શૈયામાં આરામ કરવા જાય છે. એટલે કે, પોઢી જાય છે અને એથી જ એ પછીના ચાર મહિના કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ત્યારબાદ પાલનહાર ભગવાન વિષ્ણુ ફરીથી વિશ્વની સંભાળ લેવાનું શરૂ કરે છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશી બાદ ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને પ્રભુ પોઢી ગયા હોવાથી 16 સંસ્કારો પણ થઈ શકતા નથી. જો કે આ સમય દરમિયાન કેટલાક શુભ કાર્યો કરવાની છૂટ પણ હોય છે.

હિન્દુ પંચાંગ અનુસાર ચાતુર્માસની શરૂઆત અષાઢ મહિનાના શુક્લપક્ષની એકાદશી તિથિ (દેવપોઢી એકાદશી) ના દિવસે થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષ એકાદશી (દેવઉઠી એકાદશી) પર આનું સમાપન થાય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુનો શયનકાળ રહે છે અને સૂર્ય દક્ષિણાયન થાય છે. તેથી માંગલિક કાર્ય પર પ્રતિબંધ મૂકી દેવાય છે.


દેવશયની એકાદશીની વ્રત કથા

સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી.

પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડયો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા-બાપનું હૃદય દ્રવી ઊઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં. અનાજનાં સાંસા પડવા માંડયા. રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણાદેવી જરૂર રુઠયાં હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.

આખરે મહર્ષિ અંગિરસ એ કહ્યું કે, “હે રાજન્! આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું.

આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો! મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠયા! સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.