મોરબીથી 1 ઓગસ્ટે શરૂ થશે કોંગ્રેસની ન્યાયયાત્રા : રાહુલ ગાંધી પણ આવે તેવી શકયતા

- text


દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને : ઝૂલતા પુલ દુર્ઘટનાને કારણે મોરબીથી જ ન્યાયયાત્રાના શ્રી ગણેશ કરાશે

મોરબી : કોંગ્રેસ દ્વારા 1 ઓગસ્ટથી દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા ન્યાયયાત્રા શરૂ કરવામાં આવનાર છે. આ યાત્રાનો પ્રારંભ મોરબીથી થવાનો છે. આ યાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાઈ તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વખતે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગાંધી આ યાત્રાનું નેતૃત્વ કરે તેવી કોંગ્રેસ અગ્રણીઓ પણ શકયતા વ્યક્ત કરી રહ્યા છે.

મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. ત્યારબાદ વાયા વડોદરા થઇને ન્યાયયાત્રા સુરત પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં ભોગ બનેલા પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે.

- text

રાજકોટમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ, ઉના દલિતકાંડ, મોરબી પુલ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધીને જોડાવા માટે આમંત્રણ આપવું નહિ પડે. લોકોને ન્યાય અપાવવા માટે થતી આ યાત્રાના તેઓ સામેથી જ જોડાઈ જશે.

- text