ગુજરાતનો જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો 

- text


રાજ્યના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

મોરબી : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે પ્રાપ્ત થતા 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયું છે. જયારે ચાર જળાશયો 70 થી 100 ટકા,11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25 થી 50 ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે.

- text

વધુમાં, ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32 ટકા, કચ્છના 20માં 21 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10,822 ક્યુસેક, ઉકાઈમાં 6293, ઉબેણમાં 5916, મોજમાં 3952 તેમજ બાંટવા-ખારો જળાશયમાં 3859 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

- text