- text
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને ભ્રષ્ટાચારની તપાસ માટે લેખિત રજૂઆત કરી
મોરબી : મોરબી શહેરમાં મોરબી-કંડલા બાયપાસ પર આવેલા કામધેનુ પાસે સરકારી આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે અને આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે.
- text
પુષ્પરાજસિંહ જાડેજાએ આવાસ યોજનાની રૂબરૂ મુલાકાત લઈને જણાવ્યું હતું કે, સરકારી આવાસ યોજના અંતર્ગત અંદાજે 8 થી 10 વર્ષ પહેલા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કામ માટે સરકારે 100 કરોડથી વધારે રકમ ફાળવી હતી. તેમ છતાં રાજકીય નેતાઓ, કોન્ટ્રાક્ટરો તેમજ મળતીયાઓએ વર્ષો સુધી અડીખમ રહે તેવા આવાસની જગ્યાએ નબળી કામગીરી કરીને પોતાના ખીસ્સા ભરવા મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરી આવાસનું બાંધકામ કર્યું છે. યોગ્ય માત્રામાં સિમેન્ટ કે લોખંડના ગ્રેડને ધ્યાને લેવામાં આવ્યો નથી. 8 થી 10 વર્ષ પહેલા બનેલા આવાસ હાલ જર્જરીત થઈ ગયા છે. તેથી પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને મળતીયાઓ સામે કડક કાર્યવાહી કરી પગલાં લેવા જણાવ્યું છે.
- text