મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબી શહેરમાં આવેલી કપોરીવાડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. જે અંતર્ગત બાલ વાટિકા તેમજ પહેલા ધોરણમાં કુલ 97 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી પ્રાંત અધિકારી સુશીલભાઈ પરમાર તેમજ ઉમેશભાઈ પટેલ સી.આર.સી.કો-ઓર્ડીનેટર હાજર રહ્યા હતા. તેમના હસ્તે બાલવાટિકાના 39 તેમજ પહેલા ધોરણના 58 કુલ 97 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો.

મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી સુશીલભાઈ પરમારે પ્રસંગોચિત વક્તવ્ય આપતા પોતાના વિદ્યાર્થીકાળના સરકારી શાળાના મીઠા સંસ્મરણો વિદ્યાર્થી સાથે રજૂ કર્યા હતા. તેમજ શાળા વિકાસ આયોજન માટે વિદ્યાર્થી-શિક્ષક તેમજ વાલીઓને સાથે રહી શાળાની પ્રગતિ માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમા ધોરણ 3 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. સાથે જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના અને NMMS પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ ત્રણ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા સુંદર નૃત્ય સાથે પ્રાર્થના ગીત રજુ કરવામાં આવ્યું હતું. શાળામાં જુદી જુદી રીતે પોતાનું પ્રદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મલાભાઇ કંઝારીયા, બળદેવભાઈ નકુમ, ગોકળભાઈ ડાભી, ધનજીભાઈ કાલરીયા વગેરે દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શાળાના આચાર્ય સુનિલભાઈ જોશીએ કરી હતી.

- text

- text