- text
રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી ફાયર વિભાગ અને વહીવટી તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી
મોરબી : રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું છે અને મોરબી જિલ્લામાં વિવિધ ઈમારતોમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબીમાં 128 બિલ્ડીંગમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાંથી 2 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.
મોરબીના સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આગ દુર્ઘટના બની ત્યારબાદ પ્રથમ દિવસે જ બે ગેમ ઝોન, ત્રણ ટોકીઝ અને વી માર્ટ બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. આ ત્રણ દિવસમાં બે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. હાલ રવાપર રોડ પર નગરપાલિકા કચેરીથી અવનિ ચોકડી સુધીમાં આવેલા તમામ શોપિંગ સેન્ટરોમાં તપાસ કરી જેઓની પાસે ફાયર સેફ્ટી નથી તેઓને નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં 128 મિલકતોની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 40 જેટલી મિલકતો પાસે ફાયર એનઓસી હતી જ્યારે બાકીના મિલકત ધારકો પાસે એનઓસી ન હોય તેઓને નોટિસ આપવામાં આવી છે અને તમામને જવાબ આપવા જણાવ્યું છે.
- text
- text