- text
url: Rajkot city congress accuses local civic body for the huge fire that claims 24 lives
રાજકોટ: રાજકોટમાં કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં ૧૨ માસૂમ બાળકો સહિત ૨૪ લોકોના મોત નિપજવાની ઘટના મામલે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, આ ભયાનક દુર્ઘટના મામલે સ્પષ્ટપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બેદરકારી છે.
વધુમાં કોર્પોરેશન તંત્ર ઉપર આકરા આક્ષેપ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પરેશનની ફાયર બ્રિગેડ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા વિગેરે “ભ્રષ્ટાચારી” શાખાઓના સ્ટાફની બેદરકારી હોય તો જ આવી વિકરાળ દુર્ઘટના બને તેમ જણાવી તેમણે ઉમેર્યું છે કે આ ગેમ ઝોન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લેવાઇ હતી કે કેમ ? ફાયર એનઓસી હતું કે કેમ ? તે સહિતની બાબતોની ઊંડાણ પૂર્વક તપાસ થવી જોઇએ અને જવાબદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેમજ તમામ મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારોને સરકાર ઉપરાંત કોર્પોરેશન તરફથી પણ વળતર આપવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ ધરણાં કરશે.
- text
આવી વિકરાળ આગ રાજકોટના ઇતિહાસમાં ક્યારેય લાગી હોવાનું કોઇને યાદ નથી ત્યારે અભૂતપૂર્વ શિક્ષાત્મક પગલાં નહીં લેવાય તો ભાજપના શાસકોને પણ કાળી ટીલી લાગશે તેમ અંતમાં અતુલ રાજાણીએ જણાવ્યું હતું.
- text