હીટવેવથી બચવા આટલું ખાસ કરો : મોરબી વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

- text


મોરબી : હાલ સમગ્ર ગુજરાતમાં અગનવર્ષા થઈ રહી છે. અને આગામી દિવસોમાં પણ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુ-પક્ષીઓને લૂથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જે માટે મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


તરસ ન લાગે તો પણ વારંવાર પાણી પીવું

આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, રેડિયો સાંભળો, ટી.વી જોવું, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્રો વાંચવા અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવા જણાવવામાં આવ્યું છે. વાઈ, હૃદય, કીડની કે યકૃતને લગતી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતાં પહેલા ડૉક્ટરની સલાહ લેવા જણાવામાં આવ્યું છે.


કામદારો માટે આટલું કરો

વધુમાં જણાવ્યું છે કે, કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવુ. જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલા નથી તેમને હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપવું.


બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવું

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો. વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરવા. જો ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખવો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવું. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી લેવી.


લૂ લાગતા વ્યક્તિને આ સારવાર આપવી

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તેના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ. અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપવું. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવા. જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય. ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.

- text


કૃષિ અને પશુપાલન વિષયક આટલું કરવું

ઊભા પાકને હળવુ તેમજ વારંવાર સિંચન કરવું. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારવો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવી રાખવું. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરવું. જો તમારો વિસ્તાર હીટવેવ કે લૂ ફૂંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિંકલરથી સિંચાઇ કરવું. પશુઓને છાયંડામાં રાખો અને તેમને શુધ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપવું. તેમની પાસેથી સવારના 11:00 થી બપોરના 4:00 કલાક સુધી કામ ન લેવું. આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાંસની ગંજીથી ઢાંકવું. પ્રોટીન ચરબી વગરનો આહાર આપો ખનીજ દ્રવ્યયુક્ત ખોરાક આપવો.

માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મસાલેદાર અને તળેલા ખોરાકનું સેવન ન કરવું, બપોરના 12:00થી 3:00 કલાક સુધી તડકામાં ન જાવ, જ્યારે તમે બપોરના સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરો અને ઊઘાડા પગે બહાર ન જવું. આ સમયે રસોઇ ન કરો કે રસોઈ કરતી વખતે રસોડામાં હવાની અવર જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખો શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, કોફી, સૌફટ ડ્રિંકસ ન લેવા. પ્રોટીનની વધુ માત્રા વાળા મસાલેદાર, તળેલા વધુ પડતા મીઠા વાળા આહારથી દૂર રહેવું. પાર્ક કરેલા વાહનમાં પાલતું પ્રાણી કે બાળકો ને એકલા ન રાખવા. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળવો અને જરૂર ન હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખવા.


- text