મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ : લોકસભા ચુંટણી સંદર્ભે ગુજરાતભરમાં ૬.૮૯ લાખ નવા મતદારો

- text


આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ : દેશના નવા યુવા મતદાતાઓને પ્રેરિત કરવા ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં યુવાઓની ભાગીદારી વધારવાનો હેતુ

મોરબી : શું તમને ખબર છે કે ભારતમાં ચૂંટણીપંચની સ્થાપના કયારે કરવામાં આવી હતી? કયા કારણોસર સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે? રાષ્ટ્રીય ચૂંટણી પંચની કામગીરી શું છે? વર્ષ ૨૦૧૧થી દર વર્ષે સમગ્ર રાષ્ટ્રમાં વિશેષ થીમ અંતર્ગત ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓની ચૂંટણીના પારદર્શક આયોજન અને સંચાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જે એક બંધારણીય સંસ્થા છે. તા.૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે ૧૪મો રાષ્ટ્રીય મતદાતા દિવસ “Nothing like voting, I vote for sure” થીમ પર ઉજવવામાં આવશે. આ દિવસની ઉજવણી પાછળ દેશના નવા યુવા મતદાતાઓને પોતાના કિંમતી મૌલિક અધિકાર સ્વરુપ મતદાર બનવા માટે પ્રેરિત કરવા ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં યુવાઓની ભાગીદારી વધારવાનો હેતુ છે. ઉપરાંત દેશના નાગરિકોમાં મતદાનને લઈને જાગૃત્તિ વધારવાનો પણ હેતુ છે.

લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાઓમાં મતદારોની ભાગીદારી એ આરોગ્યપ્રદ લોકશાહી અને લોકશાહીનાં સફળ સંચાલન માટે આધારરૂપ છે. આથી, મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી એ ચૂંટણી વ્યવસ્થાપનનું એક અભિન્ન અંગ છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)ને ચૂંટણીની દેખરેખ અને નિયંત્રણનો બંધારણીય આદેશ છે, જેના લીધે દરેક પાત્ર ભારતીયને મતદાર યાદીમાં સામેલ કરીને તેને સ્વેચ્છાએ મત અપાવવો એ પંચની બંધારણીય ફરજ બની જાય છે.

ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ૨૦૧૧થી ૨૫મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ ભારતીય ચૂંટણી પંચનો સ્થાપના દિન છે. ૧૯૫૦માં આ દિવસે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીનો મુખ્ય હેતુ ખાસ કરીને નવા મતદારો માટે મહત્તમ નોંધણીને પ્રોત્સાહિત કરવાનો છે. દેશના મતદારોને સમર્પિત, આ દિવસ ચૂંટણી પ્રક્રિયામાં નાગરીકોની માહિતીસભર સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે તેમનામાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” છે.

આ દીવસે સરકારના વિવિધ વિભાગો/કચેરીઓ, સંસ્થાઓમાં કર્મચારીઓ “મતદાતા શપથ” લેશે. આ ઉપરાંત, આ દિવસે મતદાતા જાગૃતિ દ્વારા લોકશાહીને ધબકતી રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ પણ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમો રાજ્ય, જીલ્લા અને બુથ સ્તરે યોજાય છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા દેશની લોકશાહીના મહોત્સવ માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે, લોકોને તેમના મતની તાકાત અને મતદાનની ફરજ વિષે જાગૃત કરવામાં આવે છે.

- text

વિવિધ માધ્યમોમાં જાહેરાતો, સોશિયલ મીડિયા કેમ્પેન, વેબિનાર તેમજ સેમીનાર, સ્થળ પર જઈને જાગૃતિ અભિયાન, પોસ્ટરો, બેનરો, લોગો દ્વારા પ્રચાર કરવામાં આવે છે. ઉપરાંત, દરેક રાજ્યો અલગ અલગ વર્ગ અને સમૂહના લોકો જેવા કે દિવ્યાંગ, ટ્રાન્સજેન્ડર, સીનીયર સીટીઝન સહિતના લોકોને મતદાન આઇકોન તરીકે ઘોષિત કરીને વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા પ્રયત્નો કરે છે. મતદાતાઓ અચૂક મતદાન કરે તે માટે ગુજરાતમાં ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે.

રાજયભરમાં કુલ ૪,૮૭,૫૯,૭૦૯ મતદારો નોંધાયા

ગુજરાત રાજયમાં ચૂંટણી પંચની સૂચનાનુસાર રાજ્યભરમાં તા.૨૭ ઑક્ટોબર, ૨૦૨૩થી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ થતાં, તા.૦૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તે દિવસે ૨,૫૪,૬૯,૭૨૩ પુરૂષ, ૨,૩૯,૭૮,૨૪૩ સ્ત્રી તથા ૧,૫૦૩ ત્રીજી જાતિના મળી કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયા છે. રાજયભરમાં ૬,૮૯,૭૬૦ નવા મતદારોનો ઉમેરો થયો છે.

મતદારની પ્રતિજ્ઞા

અમે, ભારતના નાગરીકો, લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે, આપણાં દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું.

- text