મોરબીમાં યોજનાને કારણે હજારો કરોડોનું નવુ આર્થિક ફંડ મળશે : યોજનાથી મોરબીના વિકાસને વધુ ગતિ મળશે મોરબી : રાજય સરકારે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના માણસો માટે ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરવામાં આવી છે. રૂા.૫૦૦૦ કરોડના પેકેજની જાહેરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં કરી છે. જેના કારણે રાજયના નાના ધંધા રોજગાર વ્યવસાયકારોને બે ટકાના દરે એક લાખ સુધીની લોન મળશે. આ યોજના હેઠળ તા.૨૧/૫/૨૦૨૦થી રાજયની સહકારી બેંકો તથા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓમાં શરૂ થશે. બે ટકાના સસ્તા દરે લોન મળવાથી લાખો શ્રમિકોને સીધો ફાયદો થશે. આ યોજના અંગે મોરબી પેપરમીલ એસોસિએશનના પ્રમુખ કિરિટભાઇ ફૂલતરીયા જણાવે છે કે, વડાપ્રધાશ્રીએ કોરોના સામે જે પેકેટ જાહેર કરેલ છે તે નાના ઉદ્યોગો માટે ખુબ ફાયદાકારક રહેશે અને ઉદ્યોગોને તેજી મળી રહેશે. તેમજ એમએસએમઇ ની વ્યાખ્યામાં ફેરફારને કારણે ઘણા બધા યુનિટને આર્થિક લાભો થશે. વધુમાં, કિરિટભાઇ ફૂલતરીયા જણાવે છે કે, મોરબીમાં ૧૦૦ ટકા ઘડિયાળ ઉદ્યોગ, ૧૦૦ ટકા પેકેજીંગ ઉદ્યોગ, ૫૦ ટકા જેવી પેપરમીલ અને ૬૦ ટકા જેટલા સિરામિક ઉદ્યોગોને આ યોજનાનો લાભ થશે. આ યોજનાને કારણે ફકત મોરબીમાં જ હજારો કરોડોનું નવુ આર્થિક ફંડ મળશે. જેથી મોરબીના વિકાસને ગતિ મળશે. આ યોજનાને કારણે ઘણા બધા ઉદ્યોગકારોને ફાયદો થશે.