મોરબી : તાજેતરમાં પડેલા ભારે વરસાદથી મોરબી જિલ્લામાં ખેતીને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. સરકારે આ હકીકત ધ્યાને લઈને અતિવૃષ્ટિ થયેલા ગામોનો સર્વે શરૂ કરાવ્યો છે. ત્યારે મોરબી અને ટંકારા અને માળીયાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા ખેતીને ભારે નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના સરપંચ અશ્વિનભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મોરબી અને માળિયાના મોટાભગના ગામોમાં અતિવૃષ્ટિથી લીલા દુષ્કાળની ભીતિ સર્જાઈ છે. બહાદુરગઢ ગામના સરપંચના જણાવ્યાનુસાર તેમના ગામમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. ગત રાતથી સવાર સુધીમાં લગભગ 7થી 8 ઇંચ વરસાદ પડવાથી ખેતરોમાં ચારેય બાજુ પાણી ભરાઈ ગયા છે. સરકારી તંત્ર આ અંગે યોગ્ય આંકલન કરી ખેડૂતોના હિતમાં ત્વરિત નિર્ણય લ્યે તેવી માંગ ગામના સરપંચ અશ્વિનભાઈ મકવાણાએ કરી છે.