મોરબીના લાયન્સનગરમાં પાણી પ્રશ્ને ફરી પાલિકામાં મોરચો

- text


અગાઉ અનેક વખત રજુઆત કરવા છતાં તંત્ર કોણીએ ગોળ જ ચોંટાડતું હોવાથી સ્થાનિક રહીશોમાં ધગધગતો આક્રોશ : પાણી પ્રશ્ન ન ઉકેલાઈ ત્યાં સુધી પાલિકામાં બેસી રહેવાની ચીમકી આપી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પર આવેલા લાયન્સનગર સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પ્રશ્ન ગંભીર બનતો હોવા છતાં પાલિકા તંત્ર માત્ર કોણીએ ગોળ ચોંટાડતું હોવાથી સ્થાનિક રહીશોમાં ઉગ્ર આકોશ વ્યાપી ગયો છે.પાલિકા તંત્રની ઘોર બેદરકારીથી રોષે ભરાયેલા આ વિસ્તારની મહિલાઓ તેના નાના બાળકો સહિતના સ્થાનિક લોકોએ પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તેમના પાણી પ્રશ્ન ન ઉકેલાઈ ત્યાં સુધી પાલિકામાં બેસી રહેવાની ચીમકી આપી હતી.

મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ છેવાડાના વિસ્તારો લાયન્સનગર અને ફિદાઈ પાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાલ સમયથી પાણીની મોકણ સર્જાય હોવા છતાં પાલિકા તંત્ર મચક આપતું ન હોવાથી રોષે ભરાયેલા આ વિસ્તારોની મહિલાઓ તેમના નાના બાળકો સાથે આજે પાલિકા કચેરીએ ઘસી આવીને સતત દોઢ કલાક સુધી હંગામો મચાવ્યો હતો.જોકે પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી રોષે ભરાયેલા લોકોએ જ્યાં સુધી તેમના વિસ્તારનો પાણી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી પાલિકામાં બેસી રહેવાની ચીમકી આપી હતી.બાદમાં આ વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી અને કે. કે. પરમાર એ પાલિકા તંત્રને આવેદન આપીને જણાવ્યું હતું કે,ઉનાળાની શરૂઆતથી જ તેમના વિસ્તારમાં પાણીની પળોજણ ઉભી થઇ છે અને છેલ્લા કેટલાક સમયથી તેમના વિસ્તરમાં પાણી આવતું જ નથી.જેથી આ વિસ્તારની મહિલાઓને એક બેડા પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે.જો કે તેમના બાજુના વિસ્તાર ગોકુલનગરમાં ફૂલ ફોર્સથી પાણી આવે છે.પરંતુ તેમના વિસ્તારમાં એક ટીપુંય પાણીનું આવતું નથી.ત્યારે બાજુના વિસ્તારમાં પાણી ધમધોકાર અને તેમના વિસ્તારમાં પાણી કેમ આવતું નથી તેમ કહીને પાલિકા તંત્ર પાણી પ્રશ્ને ઓરમાયું વર્તન દાખવતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

- text

લાયન્સનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું ન હોવાથી સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ રજુઆતનો ધોધ વ્હાવ્યો હતો તેમજ અગાઉ બે વખત આ વિસ્તારની મહિલા સહિતના લોકોએ પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો.જોકે પાલિકા તંત્ર દરેક વખતે માત્ર ઠાલા વચનો જ આપતું હોવાથી તેમના વિસ્તારના પાણી પ્રશ્ન વધુને વધુ વિકટ બની ગયો છે.આથી સ્થાનિક રહીશોએ તેમના વિસ્તારના પાણી પ્રશ્ન ઉકેલવામાં માટે ઠાલા આશ્વસન આપવાની જગ્યાએ તંત્ર નક્કર કરીવાહી કરે તેવી માંગ ઉઠાવી હતી.

- text