મોરબી: સ્ત્રીઓ પર અત્યાચારો દિન પ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે બળાત્કાર કરનાર નરાધમોને ફાંસી આપવાનો કાયદો બનાવવામાં આવે તેવી માંગ સાથે મોરબી યુવા એકતા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોરબી યુવા એકતા સંગઠને આવેદનમાં જણાવ્યું હતું કે દિન પ્રતિદિન સ્ત્રીઓ પર અત્યાચાર થવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કાશ્મીરના કઠુઆમાં તેમજ ગુજરાતના સુરત અને રાજકોટમાં બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર ગુજારનાર નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ તેવી આવેદનમાં માંગ ઉઠાવી હતી. બળાત્કારીને ફાંસીની સજા ઉપરાંત સ્ત્રી ઉત્પીડનના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ , આવા કેસોની ફાઇલ ત્રણ મહિનામાં પૂર્ણ કરવી અને સ્ત્રી ઉત્પીડનના કાયદા કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.