કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 30 ઓગસ્ટે આયોજિત સફાઈ અભિયાનમાં મોરબી-વાંકાનેરના યુવાનોને જોડાવા અપીલવાંકાનેર (મોરબી અપડેટ) : શ્રાવણ માસમાં વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ભવ્ય લોકમેળો ભરાય છે. મોરબી, વાંકાનેર અને સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. પરંતુ મેળા બાદ મેદાનમાં પ્લાસ્ટિક, પાણીના પાઉચ, કાગળ અને અન્ય કચરાના મોટા ઢગલા જોવા મળે છે, જે પર્યાવરણ અને પવિત્ર તીર્થસ્થાનની ગરિમાને નુકસાન પહોંચાડે છે.આ સમસ્યાના ઉકેલ માટે અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી મોરબીના 'કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આગામી રવિવારે મેળાના ગ્રાઉન્ડ પર એક વિશાળ 'મહા સફાઈ અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે.સંસ્થાના પ્રમુખ ગૌરવ જાની દ્વારા મોરબી, વાંકાનેર અને આસપાસના વિસ્તારોના યુવાનો, કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંગઠનોને જાહેર અપીલ કરવામાં આવી છે કે, આપણે માત્ર મેળાની મજા માણીને પરત નથી ફરવાનું, પરંતુ આપણા તીર્થસ્થાનને સ્વચ્છ રાખવાની સામાજિક અને નૈતિક ફરજ પણ નિભાવવાની છે. મહાદેવની સાચી ભક્તિ એ જ છે કે આપણે તેમના પરિસરને સ્વચ્છ અને કચરામુક્ત રાખીએ.આ સફાઈ અભિયાન આગામી રવિવાર, 30 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 7:00 વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિર પરિસર અને મેળાના મેદાન ખાતે શરૂ થશે. આ સેવા યજ્ઞમાં જોડાવા માંગતા યુવા મંડળો, સ્વયંસેવકો અને સંસ્થાઓએ વ્યવસ્થાના ભાગરૂપે અગાઉથી જાણ કરવી જરૂરી છે. રસ ધરાવતા મિત્રોએ પોતાના ગ્રુપનું નામ, સભ્યોની કુલ સંખ્યા અને કયા ગામ કે શહેરમાંથી આવો છો તેની વિગત વોટ્સએપ નંબર 9157038274 પર મેસેજ કરીને નોંધાવવા જણાવાયું છે.#Morbi #Wankaner #MorbiUpdate #JadeshwarMahadev #CleanIndia #SwachhBharat #SocialWork #GujaratNews #MorbiNews