નવા પરિપત્ર મુજબ પારદર્શક પદ્ધતિથી ભાવ નક્કી કરાયા: જૂના ભાવની સરખામણીએ ખેડૂતોની માંગણી અનુસાર 400% થી પણ વધુ વળતર ચૂકવાશેમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનના કામથી અસરગ્રસ્ત ખેડૂતોને પારદર્શક અને ન્યાયી વળતર મળી રહે તે હેતુથી સરકારશ્રીના તા. 4/7/2026ના નવા ઠરાવ અન્વયે નવા ભાવ નિર્ધારિત કરવા પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC) ની બેઠક જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત પ્રતિનિધિઓ, કંપની પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅરો દ્વારા આપેલા બંધ કવરોમાંથી લોટરી પદ્ધતિથી યાદચ્છિક રીતે બે ચિઠ્ઠી પસંદ કરી 15 જેટલા સર્વે નંબરોના ભાવ પારદર્શક રીતે નક્કી કરવામાં આવ્યા હતા.નવી નીતિના પરિણામે ખેડૂતોને 400% થી વધુ વળતર નક્કી થયું છે. ઉદાહરણ તરીકે, વેગડવાવ ગામના સર્વે નંબર 150 પૈકી 9 માં જૂની DLVC પદ્ધતિ મુજબ પ્રતિ ચોરસ મીટરે 85 ટકા પ્રમાણે રૂ. 979 ના ભાવે ખેડૂતને રૂ. 14.57 લાખ મળવાપાત્ર હતા, તેની સામે નવી MRC કમિટીમાં રૂ. 1945 ભાવ નક્કી થતાં તેના 200 ટકા પ્રમાણે ખેડૂતને રૂ. 58.61 લાખ ચૂકવાશે જે મુજબ 4 ગણાથી વધુ ભાવ મળશે. આ ઉપરાંત, કામગીરી દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ સરકારના નિયમો મુજબ અલગથી ચૂકવવામાં આવશે.કમિટી દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી ખેડૂતોએ સંતોષ અને ન્યાય મળ્યાની અનુભૂતિ વ્યક્ત કરી હતી. આગામી સમયમાં પણ આ જ પારદર્શક પદ્ધતિથી ભાવો સુનિશ્ચિત કરવામાં આવશે. જેથી ટ્રાન્સમિશન લાઈનો સંદર્ભે જિલ્લાના તમામ ખેડૂતો આ રીતે MRC કમિટીમાં જોડાય તે બાબતે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.