મોરબી અપડેટ : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં સતત પાણીની આવકના પગલે ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની નવી આવક ચાલુ હોવાથી વધારાના પાણીને મચ્છુ નદીમાં છોડવા માટે તંત્ર દ્વારા સવારે 8 કલાકે ડેમનો 1 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવનાર છે. ડેમમાંથી પાણીનો નિકાસ શરૂ થનાર હોઈ સાવચેતીના પગલારૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મચ્છુ-3 ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા(મિયાણા) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મિયાણા), હરીપર અને ફતેપર સહિત એકંદર 21 ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને નદીના પટમાં અવરજવર કે સાહસ ન કરવા, માલ-ઢોરને સલામત સ્થળે ખસેડી લેવા અને તંત્રની સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.