મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા ટંકારા આઈ.ટી.આઈ ખાતે યોજાશે ભરતી મેળો; નિયત લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરાશેમોરબી : મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. 30-06-2026 ના રોજ રાજકોટ-મોરબી હાઇવે, રામદેવપીરના મંદિર ની બાજુમાં, આઈ.ટી.આઈ ટંકારા ખાતે સવારે 12 કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ જરૂરી તમામ દસ્તાવેજો સાથે આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. મોરબી જિલ્લાના નિયત લાયકાત ધરાવતા મહત્તમ યુવાનો આ રોજગારલક્ષી તકનો લાભ લેવા મોરબી રોજગાર અધિકારી મનીષા સાવનિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.