જેતપર સહિતના ગામના ખેડૂતોએ વિશાળ ટ્રેકટર રેલી યોજી જિલ્લા કલેકટરને આપ્યું આવેદન : હવે ખેડૂતો પરત જેતપર ગામે જઈ પ્રતીક ઉપવાસ પણ કરશેમોરબી : વીજ કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ મોરબી કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આશરે 600 થી 700 જેટલા ખેડૂતો 50 થી 55 ટ્રેક્ટરો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10D મુજબ તેમને સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર એડવાન્સ પેમેન્ટ આપ્યા બાદ જ ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવે.ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે જે કામગીરી ચાલી રહી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે. જો આગામી 2 દિવસમાં કલેકટર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અને યોગ્ય વળતર કંપની તરફથી નહીં મળે, તો ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત ખેડૂતો જેતપુર ખાતે પ્રતીક ઉપવાસની છાવણીમાં આજથી બેસવાના જ છે.શુ કહ્યું જિલ્લા કલેકટરે ?આ સમગ્ર મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટની જોગવાઈઓ મુજબ કામગીરી ચાલી રહી છે. કલમ 16(1) અંતર્ગત રાઈટ ઓફ વે મંજૂરી અપાય છે. વળતર માટે કમિટી નક્કી કરવામાં આવી છે. જો કોઈ ખેડૂતને વળતર બાબતે અસંતોષ હોય, તો તેઓ કલમ 16(3) હેઠળ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ અપીલ કરી શકે છે. વળતરની ચૂકવણી અંગે 2017 ના સરકારી પરિપત્રનો હવાલો આપતા કલેકટરે જણાવ્યું કે, ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયા બાદ 40 ટકા, ઇરેક્શન પૂર્ણ થયા બાદ 40 ટકા અને સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ 20 ટકા રકમ ચૂકવવાની સ્પષ્ટ જોગવાઈ છે. કોરિડોર સિવાયની જમીનમાં થતા નુકસાન અંગે પણ અલગથી વેલ્યુએશન કરી વળતર ચૂકવવામાં આવે છે. ટ્રાન્સમિશન કંપનીઓને આ નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે. અંતમાં કલેકટરે કહ્યું કે વિકાસના કાર્યો અને સરકારી પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની રુકાવટ ચલાવી લેવાશે નહીં, પરંતુ ખેડૂતોની રજૂઆતો પર કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #FarmersProtest #GujaratFarmers #MorbiNews #TelegraphAct #CollectorOffice #ElectricityLineIssue