વદ આઠમ અને ચૌદશના દિવસે આકાશ ચોખ્ખું રહેશે તો સારો વરસાદ પડવાની સંભાવના, 15 એપ્રિલ આસપાસ ગરમી વધશેમોરબી : ચૈત્ર મહિનો અડધો વીતી ગયો છે અને રાજ્યમાં માવઠાના વરસાદની શ્રેણી ચાલુ છે. ત્યારે ખેડૂતો અને હવામાનના પરંપરાગત જાણકારોની નજર હવે 'ચૈત્રી દનૈયા' પર મંડાઈ છે. આ પ્રાચીન પરંપરા અનુસાર આવનારા વર્ષના વરસાદ અને હવામાનનું આગોતરું અનુમાન કાઢવામાં આવે છે.ખગોળશાસ્ત્રના જાણકાર કિશોરભાઈ ભાડજાએ જણાવ્યું કે, આ વર્ષે 8 એપ્રિલ 2026, બુધવારના રોજ ચૈત્ર વદ છઠના દિવસે ચૈત્રી દનૈયાનો આરંભ થાય છે. આ દિવસે સાંજે 7:01 વાગ્યા સુધી વદ છઠ રહેશે. વહેલી સવારે 5:54 વાગ્યે ચંદ્ર મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પૂર્ણ રાત્રિ સુધી તેમાં જ રહેશે. આ સમયે ચંદ્ર ધનુ રાશિમાં અને સૂર્ય મીન રાશિમાં રેવતી નક્ષત્રમાં હશે. પરંપરા અનુસાર ચૈત્ર વદ પાંચમથી વદ ચૌદશ સુધીના 10 દિવસને દનૈયા ગણવામાં આવે છે.આ દિવસો દરમિયાન જે વિસ્તારમાં આકાશ ચોખ્ખું હોય, ધરતી તપે અને ગરમી વધે તો તે વિસ્તારમાં દનૈયું સારું ગણાય છે, જેનો અર્થ એ થાય છે કે આગામી ચોમાસામાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે વાદળછાયું વાતાવરણ અને ઓછી ગરમી હોય તો દનૈયું નબળું માનવામાં આવે છે. આ દનૈયામાં ખાસ કરીને 2 દિવસ — વદ આઠમ અને વદ ચૌદશ — અત્યંત મહત્વના ગણાય છે. જો આ બંને દિવસે આકાશ વાદળ વગરનું એકદમ ચોખ્ખું હોય તો આવનારું વર્ષ સારું રહેવાનું અનુમાન કરવામાં આવે છે.આગામી દિવસોમાં 15 એપ્રિલ આસપાસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને સૂર્યનારાયણ પોતાના અસલ મિજાજમાં દેખાશે, જે દનૈયા જોવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી શકે છે. ગામડાઓમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા વિવિધ વિસ્તારોમાં સહેજ અલગ-અલગ રીતે જોવામાં આવે છે, પરંતુ મૂળ હેતુ એક જ છે — આવનારા ચોમાસાનું અનુમાન કાઢીને ખેતી-કિસાની માટે આગોતરી તૈયારી કરવી. ખેડૂતો અને હવામાનપ્રેમીઓ આ 10 દિવસ દરમિયાન આકાશ અને તાપમાન પર બારીકાઈથી નજર રાખીને વર્ષના વરસાદી વર્તારાનું અનુમાન કરશે.#Morbi #MorbiNews #MorbiUpdate #WeatherForecast #Monsoon2026 #ChaitriDanaiya #AgricultureNews #GujaratWeather #FarmersNews