મોરબી: મોરબી વન વિભાગ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હોલ ખાતે દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ‘સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’ વિષય પર એક વિશેષ મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ અને નિષ્ણાતોએ મેન્ગ્રુવ (ચેર) ના જંગલોના મહત્વ અને તેની જાળવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.વર્કશોપમાં મોરબી નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને એક 'વિશિષ્ટ વનસ્પતિ' ગણાવતા જણાવ્યું હતું કે, ચેરના જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે અને તે દરિયાકાંઠા માટે ‘ગ્રીન બેલ્ટ’ સમાન છે. તેમણે ભારત સરકારના મહત્વાકાંક્ષી 'મિસ્ટી' (MISHTI) પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યું કે, દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું સંરક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. મેન્ગ્રુવ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સ્થાનિક માછીમારો અને જૈવ-વિવિધતા માટે પણ સમૃદ્ધિનો સ્ત્રોત છે.આ અવસરે વૈદ્ય કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગીર ફાઉન્ડેશનના ભાવેશભાઈ ત્રિવેદીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી, જ્યારે પ્રોફેસર ડો. કેતન મેવાડાએ મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી.નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી ઉપસ્થિતોને મેન્ગ્રુવ સંરક્ષણ અને પર્યાવરણના જતન વિશે માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષક પ્રતિક નરોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વર્કશોપના અંતે ઉપસ્થિતોએ પ્રકૃતિના સંવર્ધન માટે મક્કમ નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપ માટે ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં નિવૃત્ત વન સંરક્ષક વી.ટી. કોરવાડિયા, રાજકોટ મદદનીશ વન સંરક્ષક નરેન્દ્ર ગઢવી સહિતના વન વિભાગના અધિકારીઓ, દરિયાકાંઠાના વિસ્તારના ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.#Morbi #ForestDepartment #Mangroves #Environment #AwarenessWorkshop #MISHTI #NatureConservation #MorbiUpdate