ટંકારા : ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસ કામોને વેગ મળ્યો છે. આ ક્રમમાં આર્યનગર વિસ્તારના છેવાડાના ભાગે આવેલા જુના જબલપુર ગામ તરફ જતા માર્ગ પર નવો સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડથી ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોને ઘણી રાહત મળી છે અને તે મુખ્ય શોર્ટ કટ રોડ તરીકે કામ કરી રહ્યો છે, જેના ઉપર અનેક નાની-મોટી ફેક્ટરીઓ, મકાનો અને મોટી સોસાયટીઓ આવેલી છે.પરંતુ આ નવા રોડ પર હજુ સુધી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા થઈ નથી. જેના કારણે સાંજ પડ્યા બાદ આખો વિસ્તાર અંધારમય બની જાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અંધારાને કારણે રાત્રે એકલા આવન-જાવન કરવામાં ભય લાગે છે અને સુરક્ષાનો પ્રશ્ન ઉભો થાય છે.લોકોની માંગ છે કે ટંકારા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવે. જો પ્રકાશની વ્યવસ્થા થશે તો અહીં રાત્રિ બજાર પણ ધમધમી શકે છે અને વિસ્તારનો વિકાસ વધુ ઝડપથી થઈ શકે છે. સ્થાનિક નાગરિકોએ ટંકારા નગરપાલિકાના તંત્રને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને સંબંધિત અધિકારીઓ પાસે આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી આર્ય નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વિકાસનો પ્રકાશ પથરાય.