મહાત્માના વિચારોને ધાર કાઢવામાં મોરબીની ધરતીનો મોટો ફાળોમોરબી : 1925ના ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્રની ધરા પર એક અભૂતપૂર્વ ચેતનાનો સંચાર થયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ત્યારે કાઠિયાવાડના પ્રવાસે હતા. ઇતિહાસના પાના ઉથલાવતા જાણવા મળે છે કે, આ પ્રવાસ માત્ર રાજકીય નહોતો, પરંતુ તે આત્મખોજ અને લોકસંપર્કનું એક મહાપર્વ હતું.રાજકોટથી આગમન અને મોરબીમાં ઉમળકાભેર સ્વાગતગાંધીજી રાજકોટમાં વિવિધ કાર્યક્રમો અને સભાઓ પૂર્ણ કરીને 19 ફેબ્રુઆરી, 1925ના રોજ મોરબી પધાર્યા હતા. રાજકોટથી મોરબી સુધીના રસ્તે ઠેર-ઠેર પ્રજાએ તેમનું સ્વાગત કર્યું હતું. મોરબી પહોંચતા જ મહારાજા લખધીરજી ઠાકોરે તેમનું રાજવી પરંપરા મુજબ સન્માન કર્યું હતું.વવાણિયામાં ભાવુક ક્ષણો: 'આ ઓરડો મારા માટે મંદિર છે'મોરબી રોકાણ દરમિયાન ગાંધીજી ખાસ વવાણિયા ગામે પહોંચ્યા હતા. આ સ્થળ તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીનું જન્મસ્થળ હતું. જે ઓરડામાં શ્રીમદ્જીનો જન્મ થયો હતો ત્યાં પહોંચતા જ ગાંધીજી અત્યંત ભાવુક બની ગયા હતા.મુલાકાતનો એ ખાસ અંશગાંધીજીએ ત્યાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, 'આ ઓરડો મારા માટે કોઈ પવિત્ર મંદિરથી ઓછો નથી. જે સત્ય અને અહિંસાના માર્ગે હું આજે ચાલી રહ્યો છું, તેના પદાર્થપાઠ મેં અહીં જન્મેલી એ વિભૂતિ (શ્રીમદ્ રાજચંદ્ર) પાસેથી મેળવ્યા છે.'રાજવી લખધીરજી સાથે 'ટ્રસ્ટીશિપ'નો સંવાદરાજમહેલમાં મહારાજા લખધીરજી સાથેની ચર્ચા દરમિયાન ગાંધીજીએ સામાજિક અને રાજકીય સુધારા અંગે વાત કરી હતી. ગાંધીજીએ સચોટ શબ્દોમાં રાજવીને કહ્યું હતું કે, 'મહારાજા સાહેબ, શાસ્ત્રો મુજબ રાજા એ પ્રજાનો માલિક નથી, પરંતુ તે તો પ્રજાનો સેવક અને તેની સંપત્તિનો 'ટ્રસ્ટી' (રક્ષક) છે.' મહારાજાએ ગાંધીજીના આ વિચારોને આદરપૂર્વક સ્વીકારીને રાજ્યમાં શિક્ષણ અને ખાદીના પ્રચારની ખાતરી આપી હતી.મોરબીથી વાંકાનેર તરફ પ્રયાણમોરબીમાં બે દિવસના રોકાણ, જાહેર સભાઓ અને રચનાત્મક કાર્યોની સમીક્ષા કર્યા બાદ, ગાંધીજીએ 21 ફેબ્રુઆરીના રોજ મોરબીથી વિદાય લઈ વાંકાનેર તરફ પ્રયાણ કર્યું હતું. વાંકાનેર જતી વખતે પણ રસ્તામાં આવતા ગામડાઓમાં લોકો 'મહાત્મા ગાંધી કી જય' ના નાદ સાથે તેમને વળાવવા ઉમટી પડ્યા હતા.ઇતિહાસનો જીવંત દસ્તાવેજ'મહાદેવભાઈની ડાયરી' અને 'ગાંધીજીનો અક્ષરદેહ' (વોલ્યુમ 26) માં આ પ્રવાસનો એક-એક કલાકનો હિસાબ નોંધાયેલો છે.