વાંકાનેર : સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 નિમિત્તે વાંકાનેરમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ, પ્રદેશ ભાજપ અગ્રણી સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા સર્વ જીવ હિતાર્થે મહાઆરતી યોજાઈ હતી.હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર સોમનાથ મંદિર હુમલાઓનો ભોગ બન્યા બાદ પુનઃ નિર્માણ કરી લોકોની શ્રધ્ધાને જીવંત રાખતા મંદિરના 75 પૂર્ણ થતાં વાંકાનેરમાં મહાઆરતી સહિતના કાર્યેકમોની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ભગવાન સોમનાથ મહાદેવ દેશ તથા દેશવાસીઓની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ અગ્રણીઓ , તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, શહેર ભાજપ મહામંત્રીઓ સહિત અનેક હોદ્દેદારો, કાર્યકરો તથા બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.શક્તિ અને ભક્તિના પ્રતીક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તા. 8 થી 11 જાન્યુઆરી 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી અંતર્ગત સોમનાથ મંદિર પર 1000 વર્ષથી વારંવાર હુમલાઓ બાદ તેના રક્ષણ માટે આપણાં પૂર્વજોએ બલિદાન આપેલ છે અને પેઢી દર પેઢી આપણી મહાન સંસ્કૃતિના લોકોએ મક્કમતાથી વારંવાર મંદિરનું પુનઃનિર્માણ કરી પુનઃજીવિત કર્યું છે. સ્વતંત્રત્તા પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1947માં દિવાળીના સમયે મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી અને 1951માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ભવ્ય સોમનાથ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું હતું. જેના આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે વાંકાનેર ખાતે ઈનચાર્જ પ્રવિણભાઈ પંડ્યા તથા સહ ઈનચાર્જ હેતલબેન રાજગોર દ્વારા શિવાલય ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ગંગેશ્વર મહાદેવ શિવ મંદિર ખાતે પૂજા અભિષેક, શિવધૂન તેમજ અંતમાં મહાઆરતી યોજવામાં આવી હતી. મહાઆરતી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા ઉતારવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ લોકોએ ઓમકારના ગગનચુંબી નાદ સાથે હર હર મહાદેવના નાદ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાર્યકમમાં મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના શૈલેષભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, ભાજપના વરિષ્ઠ નેતા રતિલાલ અણિયારીયા તથા ગજેન્દ્રસિંહ રાઠોડ , મહામંત્રી દિપકસિંહ ઝાલા સહિત ભાજપના મહિલા અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાટિયા સોસાયટીના મહિલા ધૂન મંડળ દ્વારા શિવધૂન કરવામાં આવી હતી. અંતમાં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.