રાજ્ય સરકારે ખેડૂત વિરોધી કરેલા પરિપત્રો રદ્દ કરોની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યારાજસ્થાનની જેમ માર્કેટ ભાવના 400 ટકા વળતર, જમીનમાંથી કેબલ નાખો, પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપો સહિતની માગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆતમોરબી : મોરબી જિલ્લામાંથી પસાર થતી વીજ લાઈન મુદ્દે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. યોગ્ય વળતર ન મળતું હોય અને પોલીસ ખેડૂતોનું રક્ષણ કરવાના બદલે વીજ કંપનીનું રક્ષણ કરતી હોવાના આરોપ સાથે અનેક વખત ખેડૂતો સાથે ઘર્ષણના પણ બનાવો બન્યા છે. ત્યારે વીજ લાઈન મુદ્દે આજ રોજ 6 જાન્યુઆરીના રોજ મોરબીમાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખીને વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફિસ પાસેથી શરૂ થઈ હતી અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં મોરબી, ટંકારા અને માળિયા (મિયાણા) સહિતની જગ્યાએથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા.આ અંગે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાનગી વીજ કંપનીને બચાવવા માટે 1/1/2017 થી 31/12/2025 સુધીના રાજ્ય સરકારના તમામ પરિપત્રો કર્યા છે. ધ ટેલિગ્રાફ એકટ 1885, જમીન સંપાદન એકટ 2015, ઈલેક્ટ્રીસિટી એક્ટ 2003 સહિતના કાયદાથી ઉપરવટ જઈને રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે. રાજ્ય સરકારના પરિપત્રો છે તે ખેડૂતોની વિરુદ્ધમાં છે. ત્યારે આ પરિપત્રો રદ્દ કરવાની માગ સાથે આ રેલી કાઢવામાં આવી છે. સાથે જ માર્કેટભાવ કરતાં 4 ગણું વળતર આપવાની પણ માગ અમારી છે. જો આ માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં મોટી સંખ્યામાં ખેડૂત પરિવારો એકઠા થઈને કલેક્ટર કચેરીમાં બેસીશું.ખેડૂતોને સાથે રાખી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને કલેક્ટર સમક્ષ વિવિધ માગણીઓ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, અમારે આ વીજ લાઈનો જોઈએ જ નહીં, કેરળની જેમ જમીનમાંથી કેબલ નાખવામાં આવે. જો કેરળમાં કેબલ નાખી શકતા હોય તો ગુજરાતમાં વીજ લાઇન શું કામ ? જંત્રી ભાવે નહીં રાજસ્થાનની જેમ માર્કેટભાવના 400% વળતર આપવામાં આવે. જો નવસારી કલેક્ટર માર્કેટભાવના 4 ગણું વળતરનો હુકમ કરે તો મોરબી કલેક્ટર હુકમ કેમ ન કરી શકે ? વીજ લાઇન એક વીજ પ્રવાહ એક સરખો તો જિલ્લે-જિલ્લે, તાલુકે-તાલુકે, ખેડૂતે-ખેડૂતે વળતર અલગ અલગ કેમ ? ખેડૂતોને એક પોલદીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા આપવામાં આવે. દરેક પોલદીઠ માસિક 50 હજાર ભાડું + વાર્ષિક ફુગાવાના દર પ્રમાણે દર વર્ષે એમાં વધારો આપવામાં આવે. વીજ લાઇન કોરિડોર માટે પ્રતિ ચોરસ મીટરના 20 હજાર આપવામાં આવે. વીજ લાઈન નીકળવાથી જમીનની કિંમત અડધી થઈ જાય છે તેને નુકશાનમાં ગણવામાં આવે. જમીનની ઘટતી કિંમતને નુકશાન ગણતરીમાં સમાવેશ કરવામાં આવે. વીજ લાઇન વાળી જમીન ખેડૂતો ક્યારેય બિન ખેતી ન કરાવી શકે તેનું મૂલ્ય ગણવામાં આવે. કંપની ખેતરનો ઉપયોગ કરી ધંધો કરે છે તો ખેડૂતોના મિલકત ધારણ કરવાનાના અધિકારનું રક્ષણ કરવામાં આવે. મિલકત ધારણ કરવાના ખેડૂતોના અધિકારનું રક્ષણ સરકાર કેમ કરતી નથી ? ખાનગી વીજ કંપની ધંધો કરે, ખેડૂતોની મિલકતનો 25 વર્ષ ઉપયોગ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળે તે યોગ્ય નથી. જે કાયદાથી નોટિસ આપો એ જ કાયદા મુજબ વળતર કેમ નક્કી કરતા નથી ? નોટિસ 1885, 2003 ના કાયદા મુજબ ને વળતર 2024-25 ના રાજ્ય સરકારના પરિપત્રો મુજબ ? આવું કેમ ? 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટભાવના 4 ગણું વળતર આપો, 1885, 2003 ના કાયદા નાબૂદ કરો, 2013 જમીન સંપાદન કાયદા મુજબ વળતર આપો.આ ઉપરાંત 1/1/2017 થી 31/12/2025 સુધીના રાજ્ય સરકારના તમામ પરિપત્રો રદ્દ કરવામાં આવે. કેન્દ્ર સરકારની 2025ની અને રાજસ્થાન સરકારની 2025 ની SOP નો અમલ કરવામાં આવે. પોલીસ માત્ર ખાનગી વીજ કંપનીના અધિકારોનું રક્ષણ કરવા માટે જ છે ? ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવાની પોલીસની કોઈ જવાબદારી જ નથી ? કાયદા બહાર જઈને કંપનીઓને પોલીસ રક્ષણ આપવાનું બંધ કરે. કંપનીઓને પોલીસ રક્ષણ આપે છે તો ખેડૂતોને પણ પોલીસ રક્ષણ આપે. કેટલાયે ખેડૂતોના ખેતરમાં એક રૂપિયો આપ્યા વગર પોલ ઉભા કર્યા છે તો તંત્ર કેમ ચૂપ છે ? એક રૂપિયો આપ્યા વગર પોલીસ રક્ષણથી ઉભા થયેલા પોલમાં જવાબદાર તમામ અધિકારીઓને ડિસમિસ કરો. પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે માત્ર ખાનગી વીજ કંપનીઓનું રક્ષણ કરવાનું નથી. પોલીસ પ્રોટેક્શન આપતા પહેલા કંપનીએ કાયદાનું પાલન કર્યું છે તે તપાસો. ધ ટેલિગ્રાફ એકટ 1885ની કલમ 16(1) મુજબ તમામ કલેક્ટરોએ કરેલા તમામ હુકમ રદ્દ કરવામાં આવે. નક્કી થયેલા કોરિડોર સિવાય ખેડૂતોની જગ્યાના ઉપયોગ સામે ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. નક્કી થયેલા કોરિડોર સિવાયની જગ્યા, રસ્તાના ઉપયોગ સામે ખેડૂતોને રક્ષણ આપવામાં આવે. સીમ મારગની જગ્યા આજે પણ અમારા 7/12 માં છે તો એનો ઉપયોગ કંપની કેમ કરી શકે ? સીમ માર્ગના ઉપયોગ સામે ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. જમીન સંપાદન એકટ 2013 માં રાજ્ય સરકારે 2016 માં કરેલા તમામ સુધારા નાબૂદ કરવામાં આવે. ગૌચર, રિઝર્વ ફોરેસ્ટ, વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં પવનચક્કી, સોલાર, વીજ ટાવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે. તળાવ, ડેમ જેવી સિંચાઈ વાળી તમામ જગ્યામાં પવનચક્કી, સોલાર, વીજ ટાવર પર પ્રતિબંધ મૂકવામાં આવે. ગૌચર, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, રિઝર્વ ફોરેસ્ટમાં ઉભા થયેલા વીજ પોલ તાત્કાલિક હટાવવામાં આવે. જમીન સંપાદન એકટ-2013 ની અનુસૂચિ 4 માં દર્શાવેલા 13 કાયદાઓનો કેન્દ્ર સરકારના 28/08/2015 ના ગેજેટ મુજબ અમલવારી કરવામાં આવે. જમીનનું ડી-વેલ્યુએશન(ઘટતી કિંમત) ગણવાનું કાયદો કહે છે તો કલેક્ટર વળતર નક્કી કરતી વખતે તેને કેમ ધ્યાનમાં લેતા નથી ? આમ ખેડૂતોની છાતી પર વીજ ટાવર ઉભા કરવાનું બંધ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.