મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયોઉમા ટાઉનશિપ બંગલો ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં આજે મોરબી ખાતે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ધરમપુર રોડ પર આવેલ ઉમા ટાઉનશીપ બંગલો ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાંતિલાલ અમૃતિયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે હું બીમાર પડ્યો છું, પરંતુ મારો કાર્યકર્તા બીમાર નથી, બે મહિના સારવાર માટે જાવ છું, મારી ગાંધીનગર અને મોરબીની ઓફિસ ખુલ્લી છે, કોઈ કામ અટકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે મંત્રી કાંતિલાલ અમૃતિયાને અન્નનળીનું સામાન્ય કેન્સર છે. જેની હાલ સારવાર ચાલુ છે અને ફાઇનલ સારવાર માટે તેઓ બે મહિના બોમ્બે જઈ રહ્યા છે.કાર્યકર્તા અભિવાદન સમારોહમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા મંત્રી કાંતિલાલ અમૃતિયા જણાવ્યું હતું કે, મચ્છુ હોનારત થી લઈને અત્યાર સુધી જે પણ સમય આવ્યો તેમાં હું લોકોની પડખે ઉભો રહ્યો છું. તે પછી કોરોના હોય તો પણ ભલે અને ભૂકંપ હોય તો પણ ભલે. 1995માં આંદોલનમાં આપણે હાર્યા પછી મોરબીની દશા ખરાબ થઈ હતી જેને યોગ્ય કરતા મારે બે વર્ષ લાગ્યા હતા. વિરોધ પક્ષ તો વિરોધ પક્ષનું કામ કરશે જ તેમાં આપણે કોઈ ડરવાની જરૂર નથી. કામ આપણે સારું કરવાનું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ષોથી કામ કરું છું. મેં કોઈ દિવસ તેમના ખિસ્સામાં 100 રૂપિયા નથી જોયા. આવા ઈમાનદાર વડાપ્રધાન આપણને મળ્યા છે. 370ની કલમ અને રામ મંદિર જેવા અનેક નિર્ણયો તેમણે લીધા છે. થોડા દિવસ પહેલા યોજાયેલા અમિતભાઈ શાહના કાર્યક્રમ વખતે હું બીમાર હોય કાર્યક્રમ રદ કરવાની વાત હતી. પરંતુ જગદીશભાઈ વિશ્વકર્માને મેં જણાવ્યું હતું કે હું ભલે બીમાર હોય પણ મારો કાર્યકર્તા બીમાર નથી. થોડા સમય પહેલા પાણીનો પ્રશ્ન હતો ત્યારે પણ મેં બીમારી હતો. પરંતુ જો હું બીમારીના કારણે કામગીરી ન કરું તો લોકોને અને ખેડૂતોને પાણી ન મળે. જેથી ખેડૂતોના અને લોકોના પુણ્ય મને મળશે. માળીયા અને મોરબીમાં જ્યાં પાણી પહોંચાડવાનું છે તે કામગીરી અંદાજે આવતા એક વર્ષની અંદર પૂર્ણ થઈ જશે તેવા મારા પ્રયત્નો છે. આગામી સમયમાં મુખ્યમંત્રી આવે ત્યારે મોરબી જિલ્લાના આશરે 800 થી હજાર કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે જ ગુણવત્તા યુક્ત કામ થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે. હળવદ અને વાંકાનેરમાં ચાર કામ નબળા થયા હતા તેની પણ તપાસ કરવાની સૂચના આપી છે. અધિકારીઓને પણ મેં સૂચના આપી છે મોરબીમાં ગુંડાગીરી ન રહે. મોરબી સિંચાઈ વિભાગની 100 કરોડની જમીન જાય તેમ હતી તે પણ બચાવીને તેની એન્ટ્રી પડાવી અને ટૂંક સમયમાં તેનું કામ શરૂ થઈ જશે. જમીન પચાવી પાડતા લોકોને પણ ચેતી જવા જણાવ્યું હતું અને અહીંયા કોઈ દાદો નથી માત્ર એક જ હનુમાનદાદા છે તેમ કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, કોઈને પણ એમ હોય કે હું કોઈની જમીન પડાવી લઈશ તો તે ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરી દે. ગુંડાગીરી બંધ કરી દે આવા તત્વોને પાસામાં પણ મોકલવામાં આવશે અને તેના મકાન પણ પાડી દેવામાં આવશે. મોરબી જિલ્લામાં ક્યાંય પણ નબળું કામ થતું હોય તો બંધ કરાવવાની તમારી જવાબદારી છે.વર્ષ 2017 સુધીમાં ગામના રસ્તા તો યોગ્ય કરવા જ છે પરંતુ સીમના રસ્તા પણ બનાવવાનો મારો લક્ષ્ય છે. મારા ઓપરેશન ના કારણે હું બે મહિના આપણી વચ્ચેથી થોડો વિરામ લઈશ પરંતુ કોઈ પણ કામ હોય તો ગાંધીનગર કાર્યાલયે સંપર્ક કરવા જણાવ્યું હતું.અત્રે ઉલ્ખનીય છે કે, મંત્રી કાંતિલાલ અમૃતિયાને અન્નનળીમાં માઇનોર કેન્સર છે. જેની તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. 4 ડોઝ પુરા થયા છે હવે 2 ડોઝ બાદ ઓપરેશન થશે. 2 ડોઝ પુરા થયા પછી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સ્પેશિયલ ડોકટરોની ટીમ દ્વારા ઓપરેશન અને ત્યાર પછી 1 મહિનો 10 દિવસ આરામ કરશે.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મીયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા પ્રદીપભાઈ વાળા, લાખાભાઈ જારીયા, જયંતીભાઈ પટેલ, જયુભા જાડેજા, જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, સહકારી અગ્રણી મનહરભાઈ બાવરવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.