11 વર્ષ જુના બનાવમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર વાંકાનેર : મોરબીમાં પ્રેમિકાના શરીરે કેરોસીન છાંટી તેને સળગાવી દેનાર શખ્સને કોર્ટે તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર એ તા. ૧૩/૦૯/૨૦૧૪ ના રોજ આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓને છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ હોય આરોપી ફરીયાદીના ઘરે જઈ તુ તારા પતિ તથા બાળકોને છોડી મારી સાથે રહેવા આવ તેમ કહેતા ફરીયાદીએ ના પાડતા આરોપીએ ફરીયાદીને ગાળો દઈ જો તુ મારી નહી થાય તો તારા પતિની પણ નહી થવા દઉં તેમ કહી ફરીયાદીના ઘરના રસોડામાંથી કેરોસીનનુ ડબલુ લઈ ફરીયાદીના આખા શરીરે કેરોસીન છાંટી દીવાસળી આપી મારી નાખવાના ઈરાદાથી સળગાવી દઈ નાસી ગયો હતો.આ મામલે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૨,૩૦૭, ૫૦૪ મુજબની ફરીયાદ નોંધી હતી. આ કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ અને રૂ.૩૫૦૦૦/- દંડની સજા ફરમાવેલ છે. જો દંડ ન ભરે તો વધુ ૪ વર્ષની સજા ફરમાવેલ છે. સરકાર પક્ષે વકીલ તરીકે જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા.