મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા એક મૌન-બધિર દિવ્યાંગ દીકરી જ્યોતિને મહેંદીની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. જેથી તે પોતાના હુનર દ્વારા આત્મનિર્ભર બની શકે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય તેને રોજગારલક્ષી કૌશલ્ય આપવાનો છે. જેથી તે આત્મવિશ્વાસ સાથે પોતાના પગ પર ઊભી રહી શકે.જ્યોતિના પિતા કાડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી પરિસ્થિતિમાં આ તાલીમ જ્યોતિ માટે સ્વાવલંબન તરફનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થઈ રહી છે. આ સેવા કાર્યમાં મુસ્કાન વેલફેર સોસાયટી સાથે કિન્જલ બ્યુટી પાર્લરના મુક્તાબેનએ સહકાર આપી. દીકરીને મહેંદી તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ દીકરીને પોતાના હુનરને નિખારવાની નવી તક મળી છે.મુસ્કાન વેલફેર સોસાયટીનો દૃઢ વિશ્વાસ છે કે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય તક મળે તો દરેક દીકરી, ભલે તે કોઈપણ અક્ષમતા ધરાવતી હોય, પોતાની ક્ષમતાને ઓળખી સફળતાના શિખરો સર કરી શકે છે. સમાજની મુખ્યધારામાં તેમને સન્માનપૂર્ણ સ્થાન અપાવવું એ અમારી સામૂહિક જવાબદારી છે.