“જોવા જેવી દુનિયા”ના થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કના વિવિધ શો બાળકો, યુવાનો અને વડીલો સૌ માટે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહેશે મોરબી : ઘડિયાળ ઉત્પાદન માટે વિશ્વપ્રસિદ્ધ મોરબી, જ્યાંથી સમયને માપતા ઘડિયાળ વિશ્વભરમાં પહોંચે છે, ત્યાં હવે ઉભી થઈ રહી છે એવી “જોવા જેવી દુનિયા” — જ્યાં સમય જ થંભી જશે! અવસર છે આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર દાદા ભગવાનના 118મા જન્મજયંતી મહોત્સવનો, જે મોરબીમાં 3 થી 9 નવેમ્બર દરમિયાન ઉજવાશે. રવાપુર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 3 નવેમ્બરની સાંજે આ સુખ અને શાંતિ આપતી સાચી સમજણનો ખજાનો ખૂલી જશે. જન્મજયંતી મહોત્સવનો શુભારંભ 3 નવેમ્બરના રાતે 8-30 વાગ્યે દીપકભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવશે. આ પ્રસંગે દાદા ભગવાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક શૃંખલા “જ્ઞાની પુરુષ”ના ભાગ 6 નું દીપકભાઈના હસ્તે વિમોચન કરવામાં આવશે. આ શુભ અવસરે દીપકભાઈના આશીર્વચન અને મુખ્યમંત્રીનું સંબોધન કાર્યક્રમને યાદગાર બનાવશે. ત્યારબાદ મહોત્સવને અનુરૂપ, દાદા ભગવાનની મૌલિક સમજણને વણી લેતું એક નાટક અને નાના બાળકોનું સમૂહ નૃત્ય ઉપસ્થિત માનવમેદનીને રસતરબોડ કરશે. દાદા ભગવાનની આ દુનિયાને મોટી દેન, એટલે કે આધ્યાત્મનો એવો સરળ અને સુલભ માર્ગ જેમાં નથી સંસારનો ત્યાગ કરવાનો, કે નથી ધર્મ બદલવાનો. નથી જપ-તપ-ત્યાગ લેવાના કે નથી કોઈ ગુરુ બદલવાના. બસ! જીવનમાં જ્યાં, જે રીતે રહીએ છીએ ત્યાં રહીને જ, ફક્ત સાચી સમજણથી સર્વ દુઃખોથી મુક્તિ મળે એવી દૃષ્ટિ કેળવવાની છે. આ દિવ્ય દૃષ્ટિ સૌને દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન થકી પ્રાપ્ત થાય છે. અક્રમ વિજ્ઞાનના ગહન સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવતા પ્રશ્નોત્તરી સત્સંગો, તેમજ જીવનને સુખમય બનાવતી સમજણને રસપ્રદ રીતે રજૂ કરનારા “જોવા જેવી દુનિયા”ના થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કના વિવિધ શો — બાળકો, યુવાનો અને વડીલો — સૌ માટે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહેશે. થીમ પાર્ક એટલે રોજીંદા જીવન વ્યવહારમાં આધ્યાત્મિક સમજણને સાંકળતી સમજણ આપતા વિવિધ પ્રદર્શનો. અહીં “સાઈરન”, “વિક્રમ વેતાળ”, મૈ કૌન હૂં?”, “એહસાસ” નામના પ્રદર્શનોમાં ફિલ્મ, નાટક, મલ્ટીમીડિયા જેવા મનોરંજક માધ્યમો થકી માનવધર્મ એટલે શું?, પતિ-પત્નીના નાજુક સંબંધ કઈ રીતે સચવાય? જેવા વ્યવહારિક પ્રશ્નો, તેમજ માન નામનો અંતરશત્રુ કઈ રીતે કામ કરે છે?, પોતાની સાચી ઓળખાણ શું? જેવા આધ્યાત્મિક પ્રશ્નોના ફોડ હસતા-રમતા મળશે. ખાસ બાળકોનો બગીચો એટલે કે, ચિલ્ડ્રન પાર્ક. જેમાં “તારા રમપમપુર” મનોરંજક પપેટ શો, “ચાલો બનીએ સુપરહીરો” ટોટલ એક્સપીરિયંસ શો, “હનુમાન ઔર કાલનેમી” ડ્રામા શો દ્વારા બાળકોને મિત્રો સાથે વ્યવહાર, આંતરિક નબળાઈઓ ઉપર વિજય તેમ જ સોશિયલ મીડિયા અને મોબાઈલની લતમાંથી કેવી રીતે બહાર નીકળવું એની સાચી સમજણ મળશે. સાથે સાથે “એમ્ફીથીયેટર” માં બાળકોને પોતાની પ્રતિભા જાહેરમાં પ્રસ્તુત કરવાનો મોકો પણ મળશે.3 થી 9 નવેમ્બર દરમિયાન રોજ સાંજે 4-30 થી રાત્રે 11 વાગ્યા સુધી આ “જોવા જેવી દુનિયા”ના દરવાજા ખુલ્લા રહેશે જે નાના-મોટા સહુના આનંદ, ઉત્સાહ અને જ્ઞાનમાં વધારો કરશે. એટલું જ નહીં, “જોવા જેવી દુનિયા”માં બાળકો માટે લકી-ડ્રો, અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતું ફૂડ કોર્ટ, ટેકનોલોજી અને જ્ઞાનનો સમન્વય કરતી વેબ દુનિયા, બાળ વિજ્ઞાન અને આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો પૂરો પાડતા બુક સ્ટોર્સ પણ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે.4 નવેમ્બરના રોજ દાદા ભગવાનના 118મા જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે, જેમાં સવારે 8 થી 9-20 દરમિયાન પૂજન તેમજ આરતી અને ત્યારબાદ સવારે 10-30 થી 1 તેમજ સાંજે 5 થી 6 દરમિયાન પૂજ્ય દીપકભાઈના દૃષ્ટિદર્શન રહેશે.આ ઉપરાંત, મહોત્સવ અંતર્ગત 5, 6 અને 7 નવેમ્બરના રોજ સવારે 10 થી 12-30 તેમજ 6 અને 7 નવેમ્બરે રાત્રે 8-30 થી 11 દરમિયાન દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન દીપકભાઈ પાસેથી મેળવી શકે છે.બુધવાર 5 નવેમ્બરના રોજ રાત્રે 7-30 થી 11 દરમિયાન દરમિયાન, આત્મસાક્ષાત્કાર થકી દિવ્યદૃષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાશે. જ્ઞાનવિધિ એક એવો આધ્યાત્મિક પ્રયોગ છે જેમાં એક કલાકમાં આત્મા અને અનાત્માના ભેદ પાડતા વાક્યો બોલાવવામાં આવે છે, જેના થકી પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. ત્યારબાદ આત્મજ્ઞાન સાથે વ્યવહારની ફરજો પૂરી પાડવાની સચોટ સમજણ આપતી પાંચ આજ્ઞા સમજાવવામાં આવે છે. જ્ઞાનવિધિનો પ્રયોગ લાખો લોકોના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવનાર સાબિત થયો છે. આત્મસાક્ષાત્કાર પામવા માટેના આ પ્રયોગમાં પ્રત્યક્ષ હાજરી આવશ્યક છે.મોરબીમાં પ્રથમવાર યોજાઈ રહેલ જોવા જેવી દુનિયાના અનોખા, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક સંબંધી સ્થાનિક લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. મહોત્સવ દરમ્યાન મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં લોકો જોવા જેવી દુનિયાની મુલાકાત લે તેવી ધારણા છે. આ પ્રસંગે ગુજરાતના વિભિન્ન ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરશે. વિવિધ ટીવી ચેનલ્સ પર સત્સંગ કાર્યક્રમ નિહાળતા મોરબી અને આસપાસના જિલ્લામાં રહેતા લાખો જિજ્ઞાસુઓ માટે દીપકભાઈને પ્રત્યક્ષ જોવા-સાંભળવાની આ એક સુવર્ણ તક હશે. વિશ્વભરમાં આજે લાખો લોકો દાદા ભગવાનના અલૌકિક અક્રમ વિજ્ઞાન દ્વારા જીવન જીવવાની સાચી સમજણ પ્રાપ્ત કરી નિરંતર આનંદમાં રહેતા રહેતા મોક્ષમાર્ગ પર પ્રગતિ કરી રહ્યા છે. મોરબીના રહેવાસીઓના પુણ્યોદયે તેમને ઘરઆંગણે આ અદભૂત વિજ્ઞાન જાણવા તેમજ તે માર્ગે ચાલવાની સમજ મેળવવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે આ આખો કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકશે. આ મહોત્સવની વધુ જાણકારી આપ અમારી વેબસાઈટ jj.dadabhagwan.org પર મેળવી શકો છો.