સોમવારે તમામ ગામોના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મામલતદારને આવેદનપત્ર આપશે. ટંકારા : ટંકારા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોના સ્વપ્નોને તોડ્યા છે. ગત 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન પડેલા 75 મીમીથી વધુ વરસાદને કારણે કપાસ અને મગફળી સહિતના મુખ્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાક સંપૂર્ણ જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે. દિવાળી બાદ પાક વેચાણ દ્વારા આશાનો પ્રકાશ જોવા મળવાની આશા ધરાવતા ખેડૂતોને અચાનક પડેલા આ વરસાદે અંધકારમાં ધકેલી દીધા છે. પાકનો સોથ વળી જતા જણસનો સંપૂર્ણ નાશ થયો છે, જેના કારણે ખેતી આધારિત પરિવારો આર્થિક તથા માનસિક સંકટમાં મુકાયા છે.આ પરિસ્થિતિને પગલે ટંકારા તાલુકાના તમામ સરપંચોએ તાલુકા પંચાયત ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપતા તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવાની માંગણી કરી છે. ખેડૂતોને લોનમાં રાહત, તમામ પ્રકારના કરમાં મુક્તિ અને સર્વે વિના સરકારી આંકડાઓના આધારે તરત સહાય જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે.ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, “પાક બજારમાં મૂકવાના સમયે મોઢે આવેલા કોડીયા છીનવાઈ ગયા છે. સરકારે મોડું કર્યા વિના તરત મદદ કરવી જરૂરી છે.” ખેડૂતો તેમજ સરપંચ મંડળ દ્વારા જણાવાયું છે કે તા. 3 નવેમ્બર, સવારે 11 વાગ્યે મોટી સંખ્યામાં ખેડૂતવર્ગ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપશે. આ રજૂઆતના સમર્થનમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્યો સહિત તમામ આગેવાનોને જોડાવવા આમંત્રિત કરવામાં આવ્યા છે. ટંકારા તાલુકામાં ખેડૂતવર્ગ સરકાર પાસેથી ચર્ચિત માંગણીઓ સાથે તરત રાહત મેળવવાની આશામાં છે અને સમયસર નિર્ણય ખેડૂત હિતમાં અત્યંત મહત્વનો સાબિત થશે એવી નિરંતર માંગ ઉઠી રહી છે. ત્યારે સોમવારે તાલુકાના તમામ ખેડૂતોને આ આવેદનપત્ર વખતે સવારે 11 વાગ્યે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.