અંદાજે 500 પરિવારો પાણી વગર પરેશાન : પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની સ્થાનિકોની ચીમકી મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ હોવાને કારણે સ્થાનિકોએ આજે મહાપાલિકામાં ઉમટી પડી ઉગ્ર રજૂઆત કરી હતી. આશરે 500 પરિવારોને પાણીની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને પરિવારોને ખૂબ જ તકલીફ પડી રહી છે.રહીશોએ જણાવ્યું કે ફોન અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મુદ્દે મેહુલભાઈ કુંભારવાડીયાએ કહ્યું કે હાલ અધિકારીઓ કચેરીમાં હાજર નથી. તેથી સાગરભાઇને રજૂઆત કરી છે જેમણે 1-2 દિવસમાં પાણી શરૂ કરાવવાની જવાબદારી લીધી છે. તેમજ કાલ રિપેરિંગ શરૂ કરાશે તેવું જણાવ્યું છે. પરંતુ જો કાલ રિપેરિંગ માટે નહીં આવે તો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. તેમણે ઉમેર્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે આ પ્રશ્નનું નિરાકરણ ઈચ્છે છે.ચંપાબેન વ્યાસે જણાવ્યું કે પાણી વગર લોકોને ભારે હાલાકી પડે છે. નોકરિયાત નોકરી પર જાય કે પાણી ભરવા ? તેમજ ગરીબ પરિવારોની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે પાણીના એક ટેન્કર માટે રૂ. 800નો ખર્ચ પોસાય તેમ નથી. તેમજ ડેમ પાણીથી ભરેલા છે, તે પાણી સોસાયટી સુધી પહોંચાડવા અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી આ સમસ્યા યથાવત છે અને ગત દિવાળી સમયે પણ એક મહિના સુધી પાણી મળ્યું ન હતું. રહીશોએ તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પૂર્વવત કરવાની માંગણી કરી છે.