માત્ર નિવેદન લઈ પરિણીતાને છુટા કરી દેવાયા હતા, તેની માંગ હતી કે પોલીસ તેને સસરાના ઘરે મૂકી જાય, તેઓ પોતાની મરજીથી આખી રાત અહીં બેઠા રહ્યા : પોલીસનો બચાવમોરબી : મોરબીમાં સસરાના ઘરે ગયેલી પરિણીતાને બળજબરી પોલીસ મથકે લાવી આખી રાત પોલીસ મથકે રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વધુમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઉપરથી દબાણ આવતા પોલીસે પરિણીતાને સસરાના ઘરે રહેવા દીધી ન હતી. જો કે આ મામલે પોલીસનું કહેવું છે કે પરિણીતાની માંગ એવી હતી કે પોલીસ તેને સસરાના ઘરે પરત મૂકી આવે. જો કે પોલીસે આવું કરવાની સત્તા ન હોવાનું જણાવ્યું હતું અને પરિણીતા પોતાની મરજીથી પોલીસ મથકે રોકાઈ ગયા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.આ સમગ્ર મામલાની વિગત એવી છે કે નિધિબેન અઘારા નામની પરિણીતાએ એક ઇન્ટરવ્યુમાં મીડિયા સમક્ષ વિગતો આપતા જાહેર કર્યું હતુ કે ચિરાગ સાથે હું સુરેન્દ્રનગર રહેતી હતી. તે મને 3 વર્ષ પહેલાં પિયર મૂકી ભણવા જતો રહ્યો હતો. જે મને આજ સુધી તેડવા આવ્યો નથી. અત્યારે એનું ભણવાનું પૂર્ણ થયુ એટલે હું મારા સસરાના ઘરે ગઈ હતી. તે લોકોએ ઘરે તો આવવા દીધી હતી. પણ પોલીસને જાણ કરી હતી. પોલીસે મને પૂછ્યું કે તમે કેમ આવ્યા છો. એટલે મે પૂછ્યું તમારી પાસે વોરંટ કે એવું કંઈ છે ? બાદમાં બેથી ત્રણ કલાક બાદ મારા કાકીજી સાસુ, સાસુ અને પાડોશી સહિતનાએ આવીને બળજબરી કરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્વ બચાવ માટે મે રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો હતો. તે લોકોએ ફરી પોલીસને ફોન કરી બોલાવી હતી. પોલીસ મારી વાત સાંભળવા તૈયાર ન હતી. બળજબરીથી ફરિયાદ લખાવવા દબાણ કરતા હતા. મેં ત્યારે ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી હતી. તે લોકોને ઉપરથી પ્રેસર હતું કે બેન પાસેથી દરવાજો ખોલાવી નખાવો. તે લોકો દરવાજો ખોલી અંદર આવી પોલીસ મથકે લઈ ગયા હતા. તેઓ એવું કહેતા હતા કે નિવેદન લઈ ઘરે પરત મૂકી જઈશું. રાત્રે 9:30 વાગ્યાથી સવાર સુધી હું પોલીસ મથકે છું. મને કોઈ ઘરે પરત મુકવા આવ્યા નથી. પરણિતાને વગર વાંકે પોલીસ બળજબરીથી સસરાના ઘરેથી લઈ જઈ પોલીસ મથકે આખી રાત બેસાડી રાખવાના આક્ષેપોથી ભારે ચકચાર મચી હતી. આ મુદ્દે પોલીસે શું કહ્યું ?આ મુદ્દે પરણિતાએ પોલીસ પર કરેલા આક્ષેપો અંગે મોરબી એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે બેન સસરાને ત્યાં ગયા. સસરાએ કહ્યું કે મારો દીકરો અહીં રહેતો નથી. આ મારૂ ઘર છે. પોલીસને બોલાવી એટલે પોલીસની ટિમ ત્યાં ગઈ. બાદમાં માલુમ પડ્યું કે ઘરની મેટર છે એટલે પીસીઆર પરત આવી ગઈ હતી. બાદમાં સસરાની અરજી મળી કે ઘરમાં આવીને ધમકીઓ આપે છે. જેથી તપાસ પીએસઆઈ સોંદરવાને સોંપી હતી. તેઓ ત્યાં ગયા હતા. આ બહેન દરવાજો લોક કરી અંદર પુરાઈ ગયા હતા. બેન કઈ પગલું ન ભરે તે માટે દરવાજો તોડી તેને બહાર લાવવામાં આવ્યા હતા. બાદમાં બેનને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેઓનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેઓએ એવું લખાવ્યું કે મને તે લોકો મારતા હતા. જેથી પોલીસે તેમને ફરિયાદ લખાવવા કહ્યું. પણ બેને ફરિયાદ લખાવવાની ના પાડી હતી. બાદમાં બેનને ચાલ્યા જવાનું કહ્યું હતું. પરંતુ તેઓએ એમ કહ્યું કે મને જ્યાંથી લાવ્યા ત્યાં જ પાછા મૂકી જાવ. જેથી પોલીસે એવું કહ્યું કે તમે કહો છો મને મારે છે તો તે જગ્યાએ પરત કેમ મૂકી શકીએ. બેનની માંગણી એવી હતી કે જેમ દરવાજો તોડી પોલીસ મથકે લાવ્યા તેમ હવે દરવાજો તોડી ઘરમાં અંદર પ્રવેશ કરાવો. અમે તો તેમને કહી દીધું હતું કે તમે જઈ શકો છો. તેમને વાહનમાં તેમના ઘર સુધી મૂકી જવાની તૈયારી પણ દેખાડી હતી. પણ તેઓ જાતે અહીં બેઠા હતા. અભયમની ટીમ અને સખી વન સ્ટોપની ટીમે પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. પોલીસે તો બેનને નિવેદન લઈને છુટ્ટા કરી દીધા હતા. પણ બેન જાતે જ અહીં બેઠા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પણ પક્ષ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.