મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે નિમિત્તે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનો સર્વાંગીણ વિકાસ થાય, વિદ્યાર્થીનીઓને ભણતરની સાથે સાથે ગણતર અને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે એ માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને આનંદ મેળો યોજાયો હતો. જેમાં વિજ્ઞાન સિદ્ધાંતો આધારિત 25 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ વિદ્યાર્થીનીઓએ જાતે બનાવી પ્રદર્શનમાં મૂકી હતી.તેમજ વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે મિક્સ કઠોળ, પાણી-પુરી ભુંગરા-બટેટા, સિંગ, ભેળ, ચણા-મસાલા, સેન્ડવીચ, દાબેલી , સરબત પાન વગેરેના સ્ટોલ ઉભા કરી વેપાર કર્યો હતો,જેથી વિદ્યાર્થીનીઓને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું, કેટલો ખર્ચ થયો? કેટલી આવક થઈ? કેટલી જાવક થઈ? કેટલો નફો થયો? વગેરેની પ્રેક્ટિકલ સમજ મેળવી હતી. આ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા અને આનંદ મેળાનો લાભ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓ અને દોશી&ડાભી માધ્યમિક શાળાની 300 જેટલી વિદ્યાર્થીનીઓએ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સફળ બને એ માટે શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.