ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા ઓવરબ્રિજ નીચે ગરનાલા પાસે ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું થઈ જતા રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય સર્જાયો છે. આ ખુલ્લું ઢાંકણું મોતના ખાડા સમાન બની રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરો સાથેની ગાઢ મિત્રતાને કારણે આ સમસ્યા ઉદભવી છે. પહેલા તો રોડ વચ્ચે ગટરનું ઢાકણું નાખવામાં આવ્યું અને તે તૂટી ગયાના મહિનાઓ વિતી જવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જાનહાનિ થઈ શકે છે. અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે જેથી સમસ્યાનું નિરાકરણ થતું ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.આ ઉપરાંત, તાલુકા સંકલન સમિતિમાં ધારાસભ્ય દ્વારા પણ અનેક મુદ્દા પર ફરિયાદ કરી છે પરતું કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સ્થાનિક લોકોની ફરિયાદોનો નિકાલ ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ ખુલ્લા ઢાંકણાને બંધ કરી, રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી આગળ જતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ પણ સ્થાનિકો દ્વારા ઉઠવા લાગી છે.