ધંધા પર જઈને ખોટી રીતે કનડગત કરવી, અભદ્ર વર્તન, ગ્રાહકો સાથે અયોગ્ય વર્તન અને વાહનોમાં નુકશાન કરતા હોવાના આક્ષેપો: સંતોષકારક નિવારણ નહીં આવે તો આંદોલનની ચીમકીમોરબી: ગુજરાત સરકારના પરીપત્ર મુજબ અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અમુક ખાણી પીણીના ધંધાઓ ચાલુ રાખવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને રાત્રી દરમિયાન ધંધા પર જઈ ને ખોટી રીતે કનડગત કરવા, અભદ્ર વર્તન કરવું તેમજ ત્યાં ઊભેલા ગ્રાહકો સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સામે આવેલ ફૂટેજમાં મોરબી પોલીસના અધિકારી તેમના મળતિયાઓ સાથે આ વિસ્તારોમાં પડેલ વાહનોમાં નુકશાન કરતા નજરે પડે છે. જેમાં વાહનોની હવા કાઢી નાખવી, પ્લગ તોડી નાખવા અથવા વાલ પર બ્લેડ મારીને ટાયરને નુકશાન કરવું જેવી બાબતો સામેલ છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા 26 ઓગસ્ટે કલેક્ટરને રાત્રિ દરમિયાન આ ધંધાઓ ખુલ્લા રાખવા માટે વેપારીઓના હિતમાં આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ જો તંત્ર આવી હરકતો કરશે અને ટૂંક સમયમાં સંતોષકારક નિવારણ નઈ લાવે તો તમામ વેપારીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.