વીજલાઈનને ઉંચી કરવાનો પ્રયત્ન ન કરવા સૂચનામોરબી : ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન કોઈ વીજ અકસ્માત ન બને તે માટે વિવિધ તકેદારી રાખવા નાગરિકોને સાવચેત કરવા મોરબી પીજીવીસીએલ કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મોરબી વર્તુળ કચેરી હેઠળની વિવિધ હળવા તથા ભારે દબાણની વીજલાઈનો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. શ્રી ગણેશ મૂર્તિના આવકાર અને વિસર્જન દરમિયાન, વીજ લાઈનની નીચેથી ખુબ જ વધુ ઊંચાઈ વાળીમૂર્તિ લઈ જવી નહી તેમજ વીજ લાઈનની નીચેથી પસાર થતી વખતે કોઈ પણ વસ્તુથી વીજ લાઈનને ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહી. શ્રીગણેશ મૂર્તિના આગમન પેહલા, આયોજકો કે મંડળોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો સંબધિત પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી, રસ્તામાં આવતી વીજ લાઈનની ઉચાઈની ખરાઈ કરીને તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિ લઇ જવી. હળવા કે ભારે દબાણની વીજલાઈનના ઈંડકશન ઝોનમાં આવવાથી કે વીજલાઈન અડકવાથી પ્રાણઘાતક તેમજ બિન-પ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના રહેલી છે આથી શ્રીગણેશજીની મૂર્તિ, વીજ લાઈનથી સલામત અંતરે રાખી જે તે લાઈન નીચેથી પસાર કરવી અનિવાર્ય છે. મૂર્તિના પંડાલ તેમજ મંડપ ઇલેક્ટ્રિકલ નેટવર્ક (11 કેવી વીજ લાઈન, વીજ ટ્રાન્સફોર્મર વિગેરે)થી સલામત અંતરે રાખવા જરૂરી છે. અન્યથા વીજઅકસ્માતની સંભાવના રહે છે અને ભારે તેમજ મોટા વાહનો જેવાકે બસ, ટ્રક, હાઇડ્રોલીક ડમ્પર તથા ઉંચાઈ વાળા ભારે વાહનોને વીજ લાઈનની નીચે કે નજીક ઉભા રાખવા નહિ. ઉલ્લેખનીય છે કે જિંદગી અમુલ્ય છે તેને જોખમમાં ન મૂકવી જોઈએ અને નાગરિકો ગણેશ ચતુર્થીના તહેવારને સલામતી પૂર્વક આનંદથી ઉજવણી માટે જરૂરી બાબતોની તકેદારી રાખવા પીજીવિસીએલ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી. આર. ઘાડિયા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.