ઉમિયા માતાજી સંસ્થાન અને કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજનમોરબી: શ્રી ઉમિયા માતાજી સંસ્થાન - રાજકોટ (ઉમિયાધામ-જસવંતપુર) અને કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મોરબી શહેરમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીઓ અને પુરુષોને થતા કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવાનો છે. જેમાં સ્ત્રીઓને ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર, યોનિમાર્ગના મુખનું કેન્સર, ગુદાનુ કેન્સર તેમજ જનનાંગોમાં થતા મસા તેમજ પુરુષોને ગુદાનું કેન્સર તેમજ જનનાંગોમાં થતા મસાથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રસીકરણ કાર્યક્રમ તા. ૨૮-૦૮-૨૦૨૫, ગુરુવારના રોજ બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા દરમિયાન શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ, લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજો માળ, સનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં રસી ન લીધી હોય તેવા ૯ વર્ષથી મોટી વયના અને ૩૦ વર્ષથી ઓછી વયના તમામ સ્ત્રી પુરુષો રસીકરણ કરાવી શકશે. રજીસ્ટ્રેશન ‘પહેલા આવો, પહેલા મેળવો’ ના ધોરણે સ્થળ પર જ કરવામાં આવશે. નોંધનીય છે કે, ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે. આ સાથે રસીકરણ માટે બી.ટી. સવાણી હોસ્પિટલ દ્વારા રજીસ્ટ્રેશ કરનારને હિમોગ્લોબીનનું મફત ચેકઅપ પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે નૂતનબેન સુરેજા (મો. ૯૪૨૬૪ ૯૭૪૬૮) અથવા ભાદીબેન માકડીયા (મો. ૯૨૭૬૧ ૦૭૫૫૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.