મોરબી : આપણે ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડનગર (આમરણ) ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશનીથી શણગારી દેવામાં આવી છે તેમજ તા.16 ઓગસ્ટ ને શનિવારના રોજ રાત્રે 8 કલાકે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ઐતિહાસિક શણગારથી બનાવેલ રથ હશે. આ શોભાયાત્રાનો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસેથી થશે અને ડાયમંડનગરના માર્ગોમાં શોભાયાત્રા રૂટ પર ભગવાન શ્રી ક્રુષ્ણ અને બલરામ દ્વારા રૂક્ષ્મણી મટુકી, ગોપી મટુકી, વૃંદા મટુકી, યશોદા મટુકી, મીરા મટુકી, બાસૂરી મટુકી, રાધે મટુકી, સુદામા મટુકી, યમુના મટુકી, માધવ મટુકી, ગોપાલ મટુકી, તુલસી મટુકી, કેશવ મટુકી એમ કુલ 13 મટુકીફોડ કરવામાં આવશે અને રાત્રે 11:30 કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે. ત્યાં રાસ ગરબા તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે મુખ્ય એટલે કે કૃષ્ણમ્ મટુકી ફોડની સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી મહાઆરતી જેવા કાર્યક્રમ કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામ તેમજ બહારગામના ધર્મ પ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.