કામ ધંધો નહીં કરતા ભાઈને કારણે દસ વીઘા જમીન વેચવી પડતા મોટો ભાઈ છરી ધોકો લઈ તૂટી પડયો મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામમાં કામ ધંધો નહીં કરતા ઉડાઉ નાના ભાઈને કારણે દેણું થઇ જતા દસ વીઘા જમીન વેચાઈ ગઈ હોવાથી ગુસ્સામાં આવી ગયેલા મોટાભાઈએ ગતરાત્રીના ઘેર આવેલા નાના ભાઈ સાથે ઝઘડો કરી ધોકા વડે બેફામ માર મારી છરીનો ઘા ઝીકી દેતા નાના ભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.આ ચોંકાવનારા બનાવામાં નાના ભાઈની હત્યા કરી નાખનાર મોટાભાઈ વિરુદ્ધ બહેને ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઇ અઘારા ઉ.37 નામના યુવાનની તેના જ ઘરમાં હત્યા કરી નાખવામાં આવી હોવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી.નાના એવા રાજપર ગામમાં હત્યાના બનાવને પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.બીજી તરફ ઘરકંકાસમાં બનેલા હત્યાના આ બનાવમાં મૃતક પ્રવીણભાઈના બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના જ મોટાભાઈ મહેશભાઈએ પ્રવિણભાઈની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ મૃતકના મોરબી યદુનંદન સોસાયટી ખાતે રહેતા બહેન ભાવનાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં જણાવ્યું હતું કે, તેમના પિતાજીએ વહેલી સવારે ફોન કરી મોટાભાઈ મહેશે પ્રવિંણ સાથે મોડીરાત્રે ઝઘડો કરી બાદમાં હત્યા કરી નાખી હોવાનું જણાવતા તેઓ રાજપર દોડી આવ્યા હતા.બનાવ અંગે ભાવનાબેને વધુમાં ઉમેર્યું હતું કે, તેમના પિતાજીએ જણાવ્યું હતું કે, પ્રવીણ મોડીરાત્રે ઘેર આવ્યા મહેશે ઝઘડો કરીને કહ્યું હતું કે, તારે કઈ કામ ધંધો કરવો નથી અને ગામમાંથી ઉછીના પૈસા લઈ જલસા કરવા છે. તારા કારણે દસ વીઘા જમીન વેચવી પડી હોવાનું કહી લાકડી વડે માર માર્યો હતો અને વચ્ચે બચાવવા પડતા મહેશભાઈએ પિતાને પણ ધક્કો મારી દેતા તેઓ પડી ગયા હતા. હત્યાના બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના બહેનની ફરિયાદને આધારે સગા મોટાભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.