હવે ટ્રાફિકમાં આંશિક રાહત મળશે : ધારાસભ્ય, પૂર્વ કાઉન્સીલરો અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં રોડને ખુલ્લો મુકાયો, મહાપાલિકાના અધિકારીઓની સૂચક ગેરહાજરીમોરબી : મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ બનીને તૈયાર થઈ જતા તેને આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ પૂર્વ કાઉન્સિલરો અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે. જો કે આ વેળાએ મહાપાલિકાના અધિકારીઓની સૂચક ગેરહાજરી રહી હતી. મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડનું એક મહિના પહેલા કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામના કારણે રોડ બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આ રોડનું કામ પૂર્ણ થઈ જતા આજે રોડને ખુલ્લો મુકવામાં આવ્યો છે. હવે આ વિસ્તારમાં ટ્રાફિકમાં આંશિક રાહત મળવાની છે. એક સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર 25 જૂને રોડનું કામ શરૂ થયુ હતું. 25 જુલાઇએ આમ રોડનું કામ પૂર્ણ થઈ ગયું પણ વરસાદ અને પાઈપલાઈનની સમસ્યાના કારણે થોડા દિવસ મોડું થયું છે. મ્યુનિસિપલ કમિશ્નર દરરોજ આ રોડના કામનું નિરીક્ષણ કરવા આવતા હતા. પહેલાં આ રોડ ઉપર પાણી ભરાતું હતું. સવારે બે કલાક અહીં અતિશય ટ્રાફિક રહે છે. હવે રોડ બનીને તૈયાર થઈ જતા રાહત મળી છે.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે આગામી તા.2એ મોરબીમાં 11 કામો શરૂ થશે. જેનું ખાતમુહૂર્ત શનાળામાં આવેલી પટેલ સમાજની વાડીએથી કરવામાં આવશે. આ રોડનું કામ થઈ ગયું છે હવે ચિત્રકૂટ પાસે કામ શરૂ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે વારા ફરતે એક -એક રોડનું કામ શરૂ કરવામાં આવશે. કામ જરા પણ નબળું નહિ થાય. આગામી 1 વર્ષમાં રોડ, બગીચા સહિતના 50થી 60 કામો થશે. રવાપર કેનાલ પણ રૂ.45 કરોડના ખર્ચે 3 કિમિ સુધી ઢંકાઈ જશે.