માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે, વાંકાનેર-કુવાડવા રોડ અને કુડા- ટીકર રોડ ઉપર આવેલ જર્જરિત બ્રિજમાં ભારે વાહનોની અવર જવર રોકવા જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુંમોરબી : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બે દિવસ પૂર્વે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં જર્જરિત બ્રિજને લઈને તપાસના આદેશ અપાયા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે ઉપર, વાંકાનેર-કુવાડવા રોડ ઉપર અને કુડા- ટીકર રોડ ઉપર આવેલ બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવર ઉપર સલામતીના ભાગરૂપે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવેમાં પર આવેલ મેજર પુલને ભારે વાહનો માટે બંધ કરવું જરૂરી હોય, બ્રિજની મુલાકાત ડીઝાઇન ટીમ દ્વારા કરવામાં આવનાર છે. જેથી ફાઈનલ રીપોર્ટ ન આવે ત્યાં સુધી માળીયા-પીપળીયા સ્ટેટ હાઇવે પર આવેલ પુલ (માળીયા ગામ પાસે) પર ભારે વાહનોના પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ/કચ્છ તરફથી આવતા વાહન વ્યવહાર હાલ માળીયાથી પીપળીયા રસ્તાની જગ્યાએ માળીયાથી મોરબી ટંકારા/આમરણ, ધ્રોલ, લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર -આમરણ તરફથી આવતા વાહનો પીપળીયા ચાર રસ્તાથી મોરબી થઈને માળીયા/કચ્છ તરફ જઈ શકશે.વાંકાનેર- કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રિજ પરથી ભારે ટ્રકો કે અન્ય ભારે વાહનોના પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. વૈકલ્પિક રસ્તા તરીકે રાજકોટ તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન પરથી વાંકાનેર તરફ જઈ શકાશે. વાંકાનેર તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન પરથી રાજકોટ તરફ જઇ શકાશે.ધાંગધ્રા- કુડા - ટીકર રોડ પર મેજર બ્રિજ પરથી રેતીના ટ્રકો કે અન્ય ભારે વાહનો પસાર થવાથી બ્રિજ ડેમેજ થવાની સંભાવના રહેલ છે તેમજ આ બ્રિજનું મંજુર થયેલ રીપેરીંગ તથા સ્લેબ રીકાસ્ટીંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક રસ્તા તરીકે હળવદ થી આવતા વાહનો ટીકર ગામ થઈને માધવનગર જઈ શકશે. માધવનગરથી આવતા વાહનો ટીકર ગામ થઈને હળવદ જઈ શકશે.