આજે રાત્રે ટંકારામાં તાજીયા પડમાં આવશેટંકારા : મહોરમના તહેવાર નિમિત્તે ટંકારામાં મુસ્લિમ સમાજ દ્વારા રાહદારીઓ માટે ઠેર ઠેર સબીલનું આયોજન કરવામાં આવ્યું છે અને રાહદારીઓને વિવિધ વાનગીઓ આપવામાં આવી રહી છે. જેનો મોટી સંખ્યામાં રાહદારીઓ અને લોકો લાભ લઈ રહ્યા છે.મહત્વનું છે કે, મહોરમ તહેવાર મુસ્લિમ ધર્મમાં શોક અને બલિદાનનું પ્રતીક છે, જે હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં ઉજવવામાં આવે છે. આ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા સબીલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પરંપરા છે. સબીલ એટલે રાહદારીઓ અને ઉજવણીમાં ભાગ લેનારાઓ માટે ઠંડા પાણી, શરબત કે દૂધની વાનગીઓનું વિનામૂલ્યે વિતરણ. આ પરંપરા ઇમામ હુસેનના કરબલામાં પાણી માટેની તડપ અને તેમના બલિદાનની યાદમાં કરવામાં આવે છે, જે દાન અને માનવતાનું પ્રતીક છે. સબીલનું આયોજન ખાસ કરીને મહોરમના પ્રથમ દસ દિવસો દરમિયાન થાય છે. જેમાં ટંકારાના મોમિન, ફકિર, ધાંચી, સંધી સહિતના મુસ્લિમ સમુદાયના લોકો શેરીઓમાં સ્ટોલ લગાવીને લોકોને વિવિધ વાનગીઓ અને પીણા વિનામૂલ્યે વહેંચે છે.