મોરબી : મોરબી મહાનગરપાલિકાએ મોરબી શહેરની મોટી માધાણી શેરીમાં આવેલું જર્જરીત હાલતમાં અને ભયજનક સ્થિતિમાં રહેલું મકાન તોડી પાડવા મકાન માલિકને આખરી નોટિસ પાઠવી હોવાને અઢી મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોએ મહાનગરપાલિકાને આ જર્જરિત મકાન વહેલી તકે તોડી પાડવા જણાવ્યું છે. મળતી વિગતો પ્રમાણે મોરબીની મોટી માધાણી શેરીમાં આવેલું દીપિકાબેન પ્રભુદાસ શાહની માલિકીનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. જેના કારણે શેરીમાં રહેતા લોકોને ત્યાંથી પસાર થતાં પણ ભય લાગી રહ્યો છે. આ અંગે સોસાયટીના રહીશોએ આ જર્જરીત મકાન તોડી પાડવા ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં મોરબી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ ગત તારીખ 16 એપ્રિલ 2025ના રોજ મકાન માલિકને આખરી નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં આ બિલ્ડીંગ પાડી નાખવા સૂચના આપી હતી. જોકે નોટિસ આપી તેને અઢી મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં મકાનમાલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને મહાનગરપાલિકા દ્વારા પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. રહીશોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાના કોઈ કર્મચારીઓ કે અધિકારીઓ પણ આ સોસાયટીમાં આવતા નથી. તો વહેલી તકે આ જર્જરીત મકાન તોડી પાડવા રહીશોએ માગ કરી છે.