કોર્પોરેશને અગાઉ 2 જૂને બિલ્ડીંગ રીપેર કરવા એક મહિનાની મુદત આપી હોવા છતાં 24 જૂને વીજ કનેક્શન કટ્ટ કર્યું મોરબી : મોરબી મહાનગર પાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં જોખમી-જર્જરિત બિલ્ડીંગોના વીજ જોડાણ કટ્ટ કરવા હાથ ધરેલી કાર્યવાહીમાં 12થી 15 જેટલી ઇમારતોની સાથે રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટિકા નામની જર્જરિત બિલ્ડિંગનું વીજ જોડાણ પણ કટ્ટ કરી નાખતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે અને હાઇકોર્ટે અરજન્ટ સુનાવણી કરી વ્રજવાટિકા બિલ્ડિંગનું વીજ જોડાણ ત્વરિત સ્થાપિત કરી દેવા કોર્પોરેશને કડક આદેશ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા વ્રજ વાટિકા બિલ્ડીંગ જર્જરિત અને જોખમી હોવાનું જણાવી મોરબી મહાનગર પાલિકા દ્વારા તા.24 જૂનના રોજ પીજીવીસીએલ મારફતે વ્રજવાટિકા બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપી નાખતા એપાર્ટમેન્ટના લોકોની હાલત ખરાબ બની ગઈ હતી. બીજી તરફ મહાનગર પાલિકાએ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટને તા.2જૂન 2025ના રોજ નોટિસ આપી એક મહિનાની મુદતમાં બિલ્ડિંગમાં જરૂરી મરામત કરાવી લેવા આદેશ આપ્યો હતો. જે મુદત પૂર્ણ થઇ ન હોય તે પહેલા જ મહાનગર પાલિકાએ પોતાના જ આદેશ-સૂચનાનો ભંગ કર્યો હોય લાઈટ કનેક્શન કાપવા મામલે વ્રજવાટિકાના રહેવાસીઓએ હાઇકોર્ટમાં ન્યાય માંગ્યો હતો.દરમિયાન મોરબીના વ્રજ વાટિકા એપાર્ટમેન્ટ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જજ મૌના એમ.ભટ્ટની કોર્ટમાં કેસનું અરજન્ટ હીયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં હાઇકોર્ટે મોરબી મહાનગર પાલિકાના અધિકારી અને સીટી ઇજનેરે પોતાના જ હુકમનો ભંગ કરી મુદત પુરી ન થઇ હોવા છતાં બીજી નોટિસ આપી વીજ પુરવઠો કટ્ટ કરાવી નાખવાની બાબતની ગંભીર નોંધ લઈ મહાનગર પાલિકાના સત્તાધીશોને સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા આદેશ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી આગામી તા.9 જુલાઈ 2025ના રોજ યોજાશે.