રથયાત્રા જડેશ્વર મહાદેવ મંદિરેથી શરૂ ; શહેરના વિવિધ માર્ગો પર ફરશે મોરબી : આજે અષાઢી બીજના પાવન પર્વે મોરબીના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો ધર્મોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. હરે રામા હરે ક્રિષ્ના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. આજે અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર નગર ચર્યાએ નીકળે છે, ત્યારે નગરજનો બધા કામ પડતા મૂકી દર્શન માટે ઉમટી પડે છે. મોરબીમાં ઇસ્કોન મંદિર દ્વારા આજે ભગવાન જગન્નાથજીની ભાવભેર શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. આ શોભાયાત્રાના આકર્ષક રથમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી બિરાજમાન છે. આ રથયાત્રા જડેશ્વર મહાદેવ મંદિરેથી શરૂ થઈ અયોધ્યાપુરી રોડ, નેહરુ ગેટ ચોક થી શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. શોભાયાત્રાનું ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ શોભાયાત્રામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક જયેશભાઈ ભાડેસીયા સહિતના મહાનુભાવો જોડાયા છે. રથયાત્રા હરે રામ હરે ક્રિષ્નાના નાદ સાથે ઉત્સાહભેર આગળ વધી રહી છે.