ડેપ્યુટી કમિશનર સોની કહે છે ઇમારત ખાલી કરવા માટે જ વીજ જોડાણ ચાલુ કરાયું મોરબી : મોરબી મહાનગર પાલિકાની જર્જરિત ઇમારતોના વીજ જોડાણ કાપવાની કામગીરીમાં કોર્પોરેશનની ભેદભાવ ભરી નીતિ ખુલી પડી છે, એક સાથે 15 ઇમારતોના વીજ જોડાણ કાપવામાં વ્રજ વાટિકા એપાર્ટમેન્ટનું પણ વીજ જોડાણ કટ્ટ કરવામાં આવ્યા બાદ મોરબીના રાજકારણીનો ફોન કોર્પોરેશનના અધિકારીઓ ઉપર જતા જ છ કલાક જેટલા સમયમાં વ્રજ વાટિકાનું વીજ જોડાણ ફરી જોડી દેવામાં આવ્યું હતું. જો આવી જ નીતિ અપનાવવી હોય તો અન્યના વીજ જોડાણ પણ કોર્પોરેશને જોડી આપવા જોઈએ પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બુધવારે મોરબી મહાનગર પાલિકા દ્વારા મોરબીમાં અગાઉ નોટિસ આપી હોય તેવી હાઉસિંગ બોર્ડ, વાવડી રોડ, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં આવેલ 12થી 15 જેટલી જર્જરિત ઇમારતોના વીજ જોડાણ કાપી નાખ્યા હતા જો કે, મોરબીની વ્રજ વાટિકા નામની બિલ્ડિંગનું વીજ જોડાણ પણ આ કાર્યવાહીમાં કટ્ટ કરી નાખવામાં આવ્યું હતું. જો કે, મોરબીના મોટા ગજાના એક રાજકીય મહાનુભાવે વ્રજવાટિકા બિલ્ડિંગનું કનેક્શન શા માટે કાપ્યું તેવા સવાલ કરી કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીને કડક ટેલિફોનિક સૂચના આપતા છ કલાકમાં જ વીજ જોડાણ પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે,જર્જરિત ઇમારતોમાં વીજ જોડાણ કટ્ટ થયા બાદ આવા બાંધકામ રીપેર કરવામાં આવે ત્યાર બાદ સ્ટ્રક્ચર એન્જીનીયરનો રિપોર્ટ રજૂ કર્યેથી વીજ જોડાણ સ્થાપિત કરવાનો નિયમ છે. જો કે, જર્જરિત વ્રજ વાટિકાનું વીજ જોડાણ કેમ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું તે અંગે સવાલ પૂછતાં તેમને જણાવ્યું હતું કે, રહેવાસીઓને બિલ્ડીંગ ખાલી કરવું હોય તે માટે એક દિવસ પૂરતું વીજ જોડાણ જોડી આપવામાં આવ્યું છે અને આજે ફરી કટ્ટ કરી નાખવામાં આવશે.