15 દિવસે પાણી મળે છે, કચરો કલેક્ટ કરવા 4 દિવસે આવે છે, પંચાયતે મહાપાલિકાના કર્મચારી બેસાડ્યા છે તે એમ કહે છે કે મને કંઈ ખબર નથી, તો આવી મહાપાલિકાનું અમારે શુ કરવું : સ્થાનિકોમાં રોષમોરબી : મોરબીનો મહેન્દ્રનગર વિસ્તાર જે મહાપાલિકામાં ભળ્યો છે. ત્યાં પાણી સહિતની પાયાની સવલતો પણ ન મળતી હોવાના લીધે સ્થાનિકોએ આજે રોષભેર મહાપાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. મહાપાલિકા હાય હાયના નારા સાથે તેઓએ મહાપાલિકા ન જોતી હોય, ગ્રામ પંચાયત પરત આપવાની માંગ ઉઠાવી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે મહેન્દ્રનગર વિસ્તારમાં 4 દિવસે પાણી આવતું હતું. દરરોજ કચરો કલેકટર કરવા માટે ટ્રેકટર આવતું હતું. પણ તેઓનો વિસ્તાર મહાપાલિકામાં ભળી ગયો એટલે આ પાયાની સવલતો છીનવાઈ ગઈ છે. હવે 15 દિવસે પાણી આવે છે. છેલ્લે ગત તા.13ના રોજ પાણી આપવામાં આવ્યું હતું. પાણી વગર આટલા દિવસો કેમ કાઢવા તે જેના ઉપર વિતે તેને જ ખ્યાલ આવે. વધુમાં તેઓએ જણાવ્યું કે કચરો કલેકટર કરવાનું ટ્રેકટર ચાર દિવસે આવે છે. લાઈટો રીપેર કરવામાં આવતી નથી. મહાપાલિકાએ પોતાનો જે સ્ટાફ પંચાયત કચેરીમાં મુક્યો છે. તેમાં એક મેડમ છે તેને આ મામલે કહીએ તો તેઓ એમ જવાબ આપે છે કે મને કંઈ ખ્યાલ નથી. તો આ મેડમને અહીં બેસાડ્યા છે શું કામ ? અગાઉ આ મામલે અનેક અરજીઓ કરી છે પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. જેથી હવે આ વિસ્તારના લોકોની માંગણી છે કે મહાપાલિકા કરતા ગ્રામ પંચાયત સારી હતી. એટલે ફરીથી આ વિસ્તારને ગ્રામ પંચાયત આપવામાં આવે.સ્થાનિકો રજુઆત કરવા મહાપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. જે વેળાએ મહાપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા. આ વેળાએ ડેપ્યુટી કમિશનર સંજય સોની મિટિંગમાં હોય તે અંગે જાણ થતાં સ્થાનિકોએ મિટિંગમાં જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હાજર સ્ટાફ અને સિક્યુરિટીએ તેઓને અટકાવ્યા હતા. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ બહાર આવી તેઓની રજુઆત સાંભળી હતી. તેઓએ જણાવ્યું કે ડેપ્યુટી એન્જીનીયર અને સેનિટેશનના ઇન્ચાર્જ ત્યાં સ્થળ મુલાકાત લેશે અને જરૂરી કાર્યવાહી કરશે.