અમદાવાદ : વિમાન દુર્ઘટનામાં 251 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 245 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે, જ્યારે 6 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારશે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 245 મૃતકોમાં 176 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 49 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. ડો. રાકેશ જોશીએ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે, ઉદયપુર 7, વડોદરા 24, ખેડા 11, અમદાવાદ 70, મહેસાણા 7, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 26, ભરૂચ 7, સુરત 12, પાલનપુર 1, ગાંધીનગર 7, મહારાષ્ટ્ર 2, દીવ 14, જૂનાગઢ 1, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર 1, ભાવનગર 1, લંડન 10, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 2, મુંબઈ 10, નડિયાદ 1, જામનગર 2, પાટણ 3, દ્વારકા 2 તેમજ સાબરકાંઠાના 1, નાગાલેન્ડ 1, મોડાસા 1, ખંભાત 2, પુણે 1, મણિપુર 1ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.