મોરબીમાં મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગમોરબી : મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી. મોરબીમાં આપણી ઋષિ પરંપરાગત પ્રાચીન યોગ સંસ્કૃતિને મોરબીની ઓળખ અને વારસાગત ધરોહરની સાથે સાંકળી મણીમંદિર ખાતે મોરબી શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે. ત્યારે આપણે એવા સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જે સ્થળ આપણને ઐતિહાસિક વિરાસત સાથે જોડે છે અને ગૌરવવંતા બનાવે છે. આ વર્ષની યોગ દિવસની થીમ એવું ફલિત કરે છે કે, યોગ એ વિશ્વના દરેક દેશ, દરેક સમુદાય અને દરેક સમાજ માટે છે અને તમામ યોગ સાથે જોડાઈ રહ્યા છે. નિયમિત યોગ અભ્યાસ થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે.કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.મોરબી શહેરી કક્ષાના કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કશ્યપ પંચાલ, અગ્રણીઓ, શાળાના શિક્ષકો, બાળકો, યોગટ્રેનર્સ તેમજ મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.