ટંકારા : ટંકારા ભાગોળે ધ્રુવનગર પાસે મોરબી - રાજકોટ હાઇવે પર હેવી ટ્રકની ઠોકરે 20 થી વધુ ઘેટા - બકરાના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે અનેક ઘેટા- બકરા ઇજાગ્રસ્ત થતા પશુ ડોક્ટર ભોરણીયાએ ઘટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી છે. બીજી તરફ ટંકારા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવા કામે લાગી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાથી મોરબી તરફ જતા 12 નાલા પાસે હેવી ટ્રકે આજે સવારે સ્થાનિક માલધારીના ઘેટા -બકરા જે ચરવા માટે રોડ ઉપરથી જઈ રહ્યા હતા. તેને ઠોકરે લેતા ઘટના સ્થળે 20 થી વધુ ઘેટા- બકરાના મુત્યુ થયાનું જાણવા મળ્યું છે. આ ટ્રક રાજકોટનુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે પશુઓના મોતને પગલે માલધારી પરિવાર ચિંતાતુર બન્યો છે. બીજી તરફ સ્થાનિકોના કહેવા પ્રમાણે પશુઓ રોડ ક્રોસ કરાવવામાં કાળજી રાખવાની તાતી જરૂર છે. જેથી અબોલ જીવોનો કોઈ અકસ્માતમાં ભોગ ન લેવાય.