મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી છે. ત્યારે પર્યાવરણ જાળવણી માટે ગુજરાત ગેસ કંપનીના મોરબી સર્કલ હેડ ડો. કમલેશ કંટારીયા, નરેન્દ્ર બારહટ, ગૌરાંગ વોરા, ધવલ વ્યાસ, દીપ ધ્રાફાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં કરંજ, સવન, પીપળો, વાંસ, ચંપો, આસોપાલવ વગેરેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ વૃક્ષારોપણમાં શિક્ષકો અશ્વિનભાઈ ક્લોલા, અરવિંદભાઈ કૈલા તેમજ બાળકોના વાલી મનસુખભાઈ પ્રભુભાઈ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. હાલ દિવસેને દિવસે ઔદ્યોગિકરણ અને આધુનિકીકરણ કારણે વૃક્ષોનું છેદન દિન-પ્રતિદિન વધતું જાય છે. સોસાયટીમાં ઘરની સામે ઉભેલા ઘટાદાર વૃક્ષોમાંથી પાનખરમાં ઝાડમાંથી પાંદડા ખરતા હોય કહેવાતા ભણેલા ગણેલા લોકોને ઝાડ ગમતા ન હોય આડેધડ ઝાડ કાપી નાખે છે, કારખાના, મકાનો, રોડ રસ્તા બનાવવામાં વૃક્ષોનું ભયંકર રીતે છેદન થાય છે, સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો બની ગયા છે ત્યારે પર્યાવરણ જાળવણી માટે પીએમશ્રી માધાપરવાડી ખાતે આ વૃક્ષારોપણ કરાયું હતું.